Mumbai, તા.11
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું 2027 વર્લ્ડ કપ રમવાનું હવે મુશ્કેલ બન્યું છે. આગામી વનડે વર્લ્ડ કપ 2027માં સાઉથ આફ્રિકામાં યોજાવાની છે, ત્યારે રોહિત 40 વર્ષનો થઈ ચૂક્યો હશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વનડે ટીમમાં નેતૃત્વ પરિવર્તનની યોજના બનાવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, BCCI એ એવી આશા રાખી હતી કે રોહિત ટેસ્ટની સાથે વનડેમાં પણ રિટાર્યમેન્ટ લેશે. પરંતુ 38 વર્ષીય હિટમેને બધાને આશ્ચર્યમાં મૂકીને વનડે ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો હતો.
જેથી તેનું 2027 વર્લ્ડ કપનું સપનું પૂરું થઈ શકે. નોંધનીય છે કે રોહિતે 2023 વર્લ્ડ કપમાં ભારતને ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું, જોકે વર્લ્ડકપનું ટાઈટલ જીતી નહતા શક્યા. પણ તેણે ભારતને T20 વર્લ્ડકપ અને વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જીત મેળવ્યા બાદ રોહિતે કહ્યું હતું કે, “હું વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. જેથી કોઈ અફવા ન ફેલાવો.”
રિપોર્ટ્સ અનુસાર BCCI હવે વનડે ટીમમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ વનડે ફોર્મેટની કમાન યુવા ખેલાડીના હાથમાં સોંપવા ઈચ્છે છે. BCCI પાસે વર્ષ 2027 વર્લ્ડકપ પહેલા 27 વનડે મેચના કાર્યક્રમોની યોજના છે.
જેમાં બોર્ડને નવા કેપ્ટનને તૈયાર કરવાનો સારો અવસર મળશે. સૂત્રોના જણાવ્યાનુસાર, રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ અય્યરને કેપ્ટનની કમાન મળી શકે છે. IPL 2025માં અય્યરે તેની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી છે અને તેણે મુંબઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતાડી છે.