New Delhi,તા.12
દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેણે આવતા મહિને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા ટેસ્ટ કેપ્ટનશીપમાંથી પણ પદ છોડ્યું હતું.
જોકે તે વન ડેમાં તે રમવાનું ચાલું રાખશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે રોહિતના સંન્યાસ પર ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ટેસ્ટમાં રોહિતના દિવસો પૂરા થઈ ગયા હતાં.
માંજરેકરે ટ્વિટ કર્યું
પ્રખ્યાત કોમેન્ટેટર માંજરેકરે શુક્રવારે એક્સ પર લખ્યું: ‘રોહિતે છેલ્લી 15 ઇનિંગ્સમાં 164 રન બનાવ્યા હતા. જેમાંથી 10 ઘરઆંગણાના મેદાન પર બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે હતી. તેની સરેરાશ 10.9 હતી. તેની વર્તમાન ફિટનેસ સ્તર સાથે… રોહિત શર્માના ટેસ્ટ ઓપનર તરીકેના દિવસો પૂરા થઈ ગયા હતાં.
રોહિતનું બેટ શાંત રહ્યું
રોહિતે તેની કારકિર્દીની શરુઆત મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે કરી હતી. જોકે થોડા સમય બાદ તેને ઓપનિંગ કરવાની તક મળી હતી. ઓપનર તરીકે 38 વર્ષીય બેટ્સમેને 68 ઈનિંગમાં નવ સદી અને આઠ અડધી સદીની મદદથી 2697 રન ફટકાર્યા હતા.
ગત વર્ષે બાંગ્લાદેશ સામેની આખરી બે મેચમાં તેનું બેટ શાંત રહ્યું હતુ અને તેણે 10.5ની સરેરાશથી માત્ર 42 રન ફટકાર્યા હતા. તે જ સમયે, ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં, રોહિતે છ ઇનિંગ્સમાં 15.16 ની સરેરાશથી માત્ર 91 રન બનાવ્યા હતા.
એટલું જ નહીં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ તેનું ખરાબ પ્રદર્શન ચાલું રહ્યું હતું. પાંચ ઇનિંગ્સમાં તેણે માત્ર 31 રન બનાવ્યા હતા. આ નિરાશાજનક પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેની પસંદગી મુશ્કેલ લાગી રહી હતી.
રોહિતની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં હારી
ઘરઆંગણે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની મહત્વની ટેસ્ટ શ્રેણીમાં ભારત હાર્યું તે પછી રોહિતની ટીકા શરુ થઈ હતી. 2023-25ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચક્રની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને કિવીઓ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતવી જરૂરી હતી, પરંતુ ભારતીય ટીમ 3-0થી શ્રેણી હારી ગઈ હતી.
આ પછી ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 3-1થી ગુમાવી હતી. આ સિરીઝમાં રોહિત છેલ્લી ટેસ્ટ માટે બેન્ચ પર બેઠો હતો. ત્યારે પણ તેમની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી હતી, પરંતું ત્યારબાદ તેમણે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરી હતી અને આ અટકળોને નકારી કાઢી હતી.
ત્યારબાદ તેણે કહ્યું કે આગળ શું થશે તે કોઈએ જોયું નથી અને તેની પાસે ફોર્મમાં પાછા ફરવાની શક્તિ છે. આ શ્રેણી પુરી થઈ હતી અને ત્યાર બાદ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ત્યાર બાદ આઇપીએલ શરૂ થઇ અને વચ્ચે રોહિતે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.