વૃદ્ધા ધારી ખાતે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યાર દરવાજાનો નકુચો તોડી તસ્કરો કળા કરી ગયા
Gondalતા.31
ગોંડલના ભોજપરા વિસ્તારમાં એકલા રહેતા નિરાધાર વૃદ્ધાના ઘરમાંથી રૂ. 3.48 લાખની મતાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા ધારી ખાતે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યારે તસ્કરો કળા કરી ગયા હતા. મામલામાં વૃદ્ધાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
ગોંડલના ભોજપરાના વૃંદાવનનગરમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન રમેશભાઇ દોશીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલિસમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિનું અગિયાર માસ પૂર્વે અવસાન થઇ ગયું હતું અને કોઈ સંતાન નહિ હોવાથી તેઓ એકલા રહે છે. ગઇ તા-૧૬/૦૫/૨૫ ના સવારના સાડા છ વાગ્યે મારે તથા મારી નાની બહેન નિતાબેન, નયનાબેનની દિકરી મયુરી તથા તેનો દિકરો આદી એમ બધાને અમરેલીના ધારી ખાતે પ્રસંગમાં જવાનું હોય આગલાં દિવસે સાંજે જ બહેન અને તેના સંતાનો મારી ઘરે આવી ગયેલ હતા. બાદમાં બીજા દિવસે સવારના સાડા છ વાગ્યે એસટી બસ મારફતે અમે ધારી જવા નીકળ્યા હતા.
પ્રસંગ પૂર્ણ થતાં ઇકો ગાડીમાં હું ગોંડલ આવવા રવાના થઇ હતી અને રાત્રીના અગિયાર વાગ્યે ભાઈ ગીરીશભાઈ, ભાણેજ જમાઇ ઋશભભાઈ, નિતાબેન તથા મયુરી તથા તેનો દિકરો આદી એમ બધા મને ઘરે ઉતરવા આવેલ હતા. ત્યારે મે ઘરની ડેલી ખોલી અંદર જોતા હોલના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. જેથી ભાઈ સાહિતને બોલાવી અંદર પ્રવેશ કરતા રૂમનો કબાટ ખોલીને જોતા રૂ. 2.10 લાખની રોકડ, પંદર વર્ષ જુના સોનાના દાગીના જેમાં સોનાના પાટલા જેની કિંમત રૂ. ૬૬ હજાર, સોનાની વીંટી બે નંગ, સોનાની બુટી એક જોડી જેની કિંમત રૂ. 11 હજાર, સોનાના છીપવાળા પાટલા એક જોડી, ચાંદીનો જુડો, મંગળસુત્ર, સાકળા, ચાંદીનો સેટ, મોતીનો સેટ, માળા, વીટી, મોતીની બંગડી એમ આશરે રૂ. 1.38 લાખના દાગીના મળી કુલ રૂ.3.48 લાખની ચોરી થઇ ગયાની જાણ થતાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી.
મામલામાં ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.