Rajkot,તા.25
દિવાળીનાં તહેવારો હવે નજીક આવી રહ્યા છે. ત્યારે એસ.ટી.નિગમ દ્વારા દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજયભરમાંથી 2600 જેટલી એકસ્ટ્રા બસો દિવાળી ઉપર દોડાવનાર છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, નડિયાદ, પાલનપૂર સહિતનાં 16 ડિવીઝનોમાંથી એકસ્ટ્રા બસો દોડાવાશે.
ઉલ્લેખનીય છેે કે રાજયમાં સૌથી વધુ સુરત ખાતેથી સૌરાષ્ટ્ર માટે 1600 બસો દોડાવાશે.પ્રાપ્ત વધુ વિગતો મુજબ ગત વર્ષે એસ.ટી.નિગમે દિવાળી ઉપર 2300-વધારાની બસો દોડાવી હતી અને રૂ। કરોડ જેટલી ઈન્કમ મેળવી હતી તેમજ 4 લાખ જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. ત્યારે ચાલુ વર્ષે બસોની સંખ્યા વધુ છે.
આથી આવક અને મુસાફરોનો આંકડો પણ વધશે.ઉલ્લેખનિય છે કે આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.16થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી 1600 એકસ્ટ્રા બસો દોડાવશે.
દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સુરત વિભાગ દ્વારા તા.16 થી 19મી ઓક્ટો. દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ 1600 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે.
રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. એકસ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4.00 થી રાત્રે 10.00 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે.
આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. ગત વર્ષે પણ દિવાળી ઉપર સુરત એસ.ટી.વિભાગ સુરત દ્વારા કુલ 1359 ટ્રીપોનું સંચાલન કરી 86,599 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોચાડયા હતા અને નિગમે કુલ રૂ।.57 કરોડ(બે કરોડ સત્તાવન લાખ) આવક મેળવી હતી.
એકસ્ટ્રા બસોનું બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ પોર્ટ, ઉધના બસ સ્ટેશન, કામરેજ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઇલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકાશે.