Madhya Pradesh,તા.26
બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 9 દિવસની હિંદુ એકતા પદ યાત્રા સોમવારે મધ્ય પ્રદેશ – ઉત્તર પ્રદેશ સરહદ નજીક દેવરી ગામમાં પહોંચી હતી. 25 નવેમ્બરે આ યાત્રામાં બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે પણ ભાગ લીધો હતો.
સંજય દત્તને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. આ દરમિયાન તેઓ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથમાં ભગવો ધ્વજ લઈને ચાલી રહ્યાં હતાં. આ યાત્રામાં ભાગ લેવા માટે સંજય દત્ત ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ખજુરાહો પહોંચ્યાં હતાં અને સંજય દત્તે બાગેશ્વર બાબાના ખૂબ વખાણ પણ કર્યા હતાં.
સંજય દત્તની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેમાં તેનો ’સનાતની’ સ્વેગ જોવા મળી રહ્યો છે, જેને તેનાં ફેન્સ પણ પસંદ કરી રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન સંજુ બાબાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે પગપાળા લાંબા અંતરની મુસાફરી કરી હતી.
આ દરમિયાન તેમણે બાગેશ્વર બાબાની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના નાના ભાઈ જેવાં છે અને તેઓ તેમને ગુરુજી કહે છે. તેમણે એમ પણ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ સારું કામ કરી રહ્યાં છે અને તેમને તેમનાં પર પૂરો વિશ્વાસ છે.
આ સિવાય સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ ફોટોમાં સુપરસ્ટાર સંજય દત્ત જમીન પર બેસીને ચાની ચૂસકી લેતાં અને બાગેશ્વર બાબા સાથે વાત કરતાં જોવા મળે છે. તેનાં ફેન્સને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે, જેનાં માટે સોશિયલ મીડિયા પર તેનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે. આ દરમિયાન સંજય દત્ત સફેદ કુર્તા પાયજામા સાથે કેસરી રંગની શાલ પહેરીને જોવા મળ્યાં હતાં.
આ ઉપરાંત, સફર દરમિયાન સંજય દત્ત સતત ’હર હર મહાદેવ’ના નારા લગાવતાં અને હાથમાં ભગવો ધ્વજ પકડતાં જોવા મળ્યાં હતાં. તેઓ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગભગ 2 કિલોમીટર સુધી ચાલ્યાં, આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય ઘણાં લોકો પણ તેમની સાથે હતાં.
સંજય દત્તે કહ્યું કે, ગુરુજી હું હંમેશાં તમારી સાથે છું અને હંમેશાં રહીશ. તમે જે પણ કહો, હું હંમેશાં તમારી સાથે રહીશ. આ પછી તેણે ‘જય ભોલે નાથ’ના નારા પણ લગાવ્યાં હતાં.
અભિનેતાએ કહ્યું કે, બાબા એક મોટા સુપરસ્ટાર છે અને તેઓ તેમનાં જાતિવાદના સંદેશને સંપૂર્ણ રીતે ફેલાવશે. તેમનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો અને જાતિવાદને દૂર કરવાનો છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી તેમને તેમની સાથે જવા કહેશે તો તેઓ ચોક્કસ તેમની સાથે જશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ તેમનાં વખાણ કર્યા અને કહ્યું કે, આ એક મોટો સંદેશ છે અને તેઓ ખુશ છે. સંજય દત્તે વધુમાં કહ્યું કે, ’હું જેલમાં રહીને સામાન્ય લોકોને મળ્યો છું અને મને તેમનાં તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આપણે બધાએ સંગઠિત રહેવું જોઈએ અને એકબીજાને પ્રેમ અને સન્માન આપવું જોઈએ.