પતંજલિ યુનિવર્સિટીમાં આયોજિત ૬૨મી અખિલ ભારતીય શસ્ત્રોત્સવ સ્પર્ધાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પહોંચ્યા હતા
Haridwar, તા.૨૨
આપણા શાસ્ત્રો માત્ર ગ્રંથ નહીં, પરંતુ સંપૂર્ણ સૃષ્ટિના રહસ્યોને જાણવાનું માધ્યમ છે. ભારતીય શાસ્ત્રો અને ગ્રંથોમાં એવા અદ્ભુત સૂત્રો છે, જે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. આ વાત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પતંજલિ વિશ્વવિદ્યાલયમાં આયોજીત ૬૨મા અખિલ ભારતીય શાસ્ત્રોત્સવ સ્પર્ધાના સમાપન સમારોહમાં કહી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો આધાર આપણા પ્રાચીન શાસ્ત્ર છે, જેમાં વિજ્ઞાન, યોગ, ચિકિત્સા, ગણિત અને દર્શનના ગાઢ રહસ્યો સામેલ છે. તેમણે તે વાત પર ભાર આપ્યો કે ઋષિ-મુનિઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનોને માત્ર વારસાના રૂપમાં જાળવવાની જગ્યાએ તેને આગળ વધારવા અને આધુનિક દ્રષ્ટિએ વિકસિત કરવા જરૂરી છે. તેમણે કહ્યું કે જેમ અદ્વૈત વેદાંતનું જ્ઞાન ભારતમાં ફેલાયું, તેમ આ શાસ્ત્રોત્સવના માધ્યમથી સંસ્કૃત અને શાસ્ત્રોના ગાઢ રહસ્યો દેશ અને વૈશ્વિક સ્તરે ફેલાય. તેમણે કહ્યું કે વેદો અને શાસ્ત્રોને વ્યાવહારિક રૂપથી પ્રસ્તુત કરવાની દિશામાં કાર્ય કરવું જોઈએ, જેનાથી આવનારી પેઢીમાં તેના પ્રત્યે રૂચિ અને આસ્થા વિકસિત થાય.
સમાપન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ધામીએ કહ્યુ કે રાજ્ય સરકાર સનાતન અને ભારતીય જ્ઞાન પરંપરાને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ પગલા ભરી રહી છે, જેનાથી પ્રાચીન ભારતીય જ્ઞાન વિજ્ઞાનને વૈશ્વિક સ્તર પર સ્થાપિત કરી શકાય. આ પ્રસંગે મુખ્યમંત્રી ધામીએ ભારતના સમૃદ્ધ વૈદિક જ્ઞાનને વૈશ્વિક સ્તરે ઓળખવાની અને તેને શિક્ષણ પ્રણાલીમાં વધુ અસરકારક રીતે સંકલિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો આપણે આપણા પ્રાચીન જ્ઞાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરીએ તો તે સમગ્ર માનવતા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પ્રસંગે પતંજલિ યુનિવર્સિટીના ચાન્સેલર અને યોગઋષિ સ્વામી રામદેવે કહ્યું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં કોઈપણ ક્ષેત્રમાં નેતૃત્વ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સનાતન ધર્મ અને ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વિશ્વની તમામ જ્ઞાન પ્રણાલીઓ સમાયેલી છે. અખિલ ભારતીય શાસ્ત્રોત્સવને સંસ્કૃત અને સંસ્કૃતિનો સંગમ ગણાવતા સ્વામી રામદેવે કહ્યું કે તમામ મૂળ ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવી છે અને આપણે બધાએ આનું ગૌરવ લેવું જોઈએ. તેમણે સંસ્કૃત ભાષાના પ્રસારને પ્રોત્સાહન આપવાની અને ભારતીય જ્ઞાન પરંપરાને પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.