જેમ ઘરને ટકાવવું હોય થો થાંભલા જોઈએ, દાગીના સાચવવા હોય તો તિજોરી જોઈએ, ફ્રુટને સારૃં રાખવા ફ્રીજ જોઈએ, તેમ આ જીવને કુંસંગથી સાચવવો હોય તો મોટા સંતોનો સમાગમ અવશ્ય રાખવો.
મનુષ્યનું જીવન વીજળીના ઝબકારા અને પાણીના પરપોટા જેવું છે, તે ક્યારે ચાલ્યું જાય એ નક્કી નહી. તેથી સમય કાઢીને સત્સંગ કરી લેવો એ વાત સારમાં સાર છે.
પાણીમાં નાવ રહે તો વાંધો નહિ, પણ નાવમાં પાણી રહે તો મોટા વાંધો પડી જાય. તેવી રીતે માણસ સંસારમાં રહે, તો તે ચાલે, પરંતુ સંસાર હૃદયમાં રહેવા લાગે તો મુશ્કેલી સર્જાય.
આ જીવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ રાખે તો જ માયામાં ચોંટે નહી, તેથી આજ્ઞા પ્રમાણે વિષય ભોગવવાં, જે આજ્ઞા બહાર વર્તશે તો તે સંસારના પદાર્થોમાં મકોડાની પેઠે ચોંટી જ જશે, તેથી ભગવાનને પામવા, સાવધાન રહેવું.
હંમેશા સજ્જનના સંગમાં રહેવું. પર્વત ઉપર ચડવું મુશ્કેલ છે, પણ પર્વત ઉપરથી ઉતરવું હોય તો સડસડાટ ઉતરી જવાય. મેલાં વસ્ત્રોને સાફ કરતાં સમય જાય છે, પણ ઉજળાં વસ્ત્રોને મેલાં કરવાં હોય તો તરત થઈ જાય છે, તેમ કુસંગ જલ્દી લાગી જાય છે. તેથી તેનાથી દૂર રહીને સત્સંગ કરવો.
ઓરડાને ટાઢો રાખવો હોય તો એ.સી.ની જરૂર પડે છે. તેમ હૃદયને ઠંડુ રાખવા સત્સંગની જરૂર પડે છે.
એક મણ લોટ કંસાર કરવા માટે લીધો અને તેમાં પાશેર ગોળ નાંખીએ તો કંસાર સારો થાય ? ના થાય. એ તો જેટલો ગોળ વધારે નાંખીએ તેટલો સારો થાય. તેમ દિવસમાં માત્ર પંદર મિનિટ ભજન કરીએ, તો શું થાય ? જેમ સારો કંસાર કરવા ગોળ વધુ જોઈએ, તેમ સારો સંસાર બનાવવો હોય, તો સત્સંગ જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ તો, આલોકમાં પણ સુખી થવાય અને પરલોક પણ સુધરી જાય.
જેમણે પોતાનું સમગ્ર ૧૦૦ વર્ષનું આયુષ્ય અને ૮૦ વર્ષનું સાધુ જીવન જનસમાજ માટે વ્યતિત કર્યું હતું. એવા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને આજે શરદપૂર્ણિમાના રોજ ૧૦૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં ત્યારે એમણે જે સદ્ઉપદેશ આપ્યો છે, તેમાંથી અત્રે સંક્ષિપ્તમાં આલેખ્યો છે. તેને આપણે સૌએ જીવનમાં ઉતરવા જેવો છે.
શ્રી મુકતજીવન સ્વામીબાપાએ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીની આજ્ઞાથી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સંવત ૧૯૯૮ ના ફાગણ સુદ ત્રીજના દિવસે દીક્ષા આપી. બંને એ સાથે મળીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ ઈ.સ. ૧૯૪૮ મા વિદેશની ભૂમિ (આફ્રિકા) ખાતે સૌ પ્રથમ પધારીને સત્સંગના પ્રચારને પ્રસારની પહેલ પાડી હતી. તેઓશ્રીએ યુરોપ, અમેરીકા, કેનેડા, દુબઈ ખાતે ૮ થી વધુ વખત પધારીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ને પ્રસાર કર્યો છે. લંડનમાં ભવ્ય મંદિર પણ સ્થાપ્યું છે. તેમના કાર્યોથી પ્રેરાઈને લંડનમાં ઈ.સ. ૨૦૧૪ મા હાઉસ ઓફ લોડ્સ તથા હાઉસ ઓફ કોમનમાં માનનીય બોબ બ્લેકમેન દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. શ્રી મુકતજીવન સ્વામીબાપાના સિદ્ધાંતોને સાચવવા માટે જ અમદાવાદમાં આવેલ મણિનગરમાં જ સાધુતાની મૂર્તિ સદ્ગુરૂશાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમની સ્થાપના કરી હતી.
આવા વિરલ સંતના પ્રાગટયની ૧૦૩ મી જયંતીએ આપણે કોટી કોટી વંદન કરીએ અને તેમણે આપેલા જીવન સંદેશને આપણે સૌ કોઈ જીવનમાં ચરિતાર્થ કરીએ અને સુખીયા થઈએ.