Gandhinagar,તા.૧૪
રાજ્ય શિક્ષણ વિભાગે વર્ષ ૨૦૨૫ માટેના શાળા પ્રવેશોત્સવની તૈયારીઓને ઔપચારિક સ્વરૂપ આપી દીધું છે. ૧૮ થી ૨૦ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં પ્રવેશોત્સવ ઉજવાશે અને તેના ભાગરૂપે હાલ પ્રવેશપાત્ર બાળકોનો સર્વે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રથમ ધોરણમાં નવા વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ શાળાથી છૂટી પડેલા બાળકોને ફરીથી શાળામાં જોડવા માટે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજાય છે. આ પ્રસંગે મંત્રીઓ, સનદી અધિકારીઓ અને સ્થાનિક મહાનુભાવો શાળાઓની મુલાકાતે જાય છે અને બાળકોને પ્રવેશ અપાવે છે.
તંત્રએ જિલ્લાના તમામ શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે કે તેઓ તરત જ તેમના વિસ્તારમાં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે શરૂ કરે અને તેનું વિગતવાર આધારિત અહેવાલ વડી કચેરીને મોકલે. સર્વેમાં ખાસ કરીને ધોરણ ૧માં દાખલ થનારા બાળકો ઉપરાંત એવા બાળકોની વિગતો લેવી જરૂરી છે, જેઓ મિડલ સ્કૂલ કે હાઈસ્કૂલથી સમયસર છૂટી ગયા છે અને જેમને પાછા શિક્ષણ પ્રવાહમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
પ્રવેશોત્સવ માત્ર બાળકોના શાળા પ્રવેશ માટે નહીં પરંતુ રાજ્યની શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો પણ મોકો હોય છે. શાળામાં હાલમાં રહેલા શિક્ષકોની સંખ્યા, ખાલી જગ્યા, મુખ્ય શિક્ષક અને આચાર્ય પદો, વગેરેની વિગતો મેળવીને તેની જાણ શિક્ષણ વિભાગને કરવામાં આવે છે. શાળાની ઇમારતની હાલત, રમતના મેદાનની ઉપલબ્ધિ, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલયોની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા વગેરે અંગેની માહિતી પણ લેવામાં આવે છે.
આ તમામ માહિતીનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વિશ્લેષણ કરીને સંક્ષિપ્ત અહેવાલ રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે છે. જેના આધારે શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરું પાડવા, નવી ભરતી કરવાની અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવાની દિશામાં નિર્ણયો લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે ૨૦૨૫ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની આ ૨૨મી કડી હશે. આ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉચ્ચ સ્તરે કાર્યક્રમો યોજાશે, જેમાં મંત્રીઓ અને અન્ય અધિકારીઓ શાળાઓમાં હાજરી આપી બાળકોને શાળા પ્રવેશ અપાવશે.