New Delhi,તા.23
હિતોના ટકરાવ અને નાણાકીય અનિયમિતતા સહિતના આક્ષેપોનો સામનો કરી રહેલા સેબીના અધ્યક્ષ માધબી પુરી બુચને સરકારે તમામ આરોપોમાંથી ક્લીન ચીટ આપી છે. સરકારે રચેલી તપાસ ટીમે જણાવ્યું હતું કે, સેબીના અધ્યક્ષ વિરુદ્ધ કંઈ જ વાંધાજનક મળ્યું નથી. તપાસમાં બુચને તમામ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને જણાવાયું છે કે, તેઓ ફેબ્રુઆરી, 2025 સુધીનો તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે.
અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ તથા કોંગ્રેસ પાર્ટી દ્વારા બુચ વિરુદ્ધ નાણાકીય અનિયમિતતા અને હિતોના ટકરાવના ગંભીર આક્ષેપો કરાયા બાદ સરકાર દ્વારા સેબીના અધ્યક્ષ વિરુદ્ધ તપાસ માટે વિવિધ એજન્સીસને જવાબદારી સોંપાઈ હતી. આ ઉપરાંત નાણાં મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી. સરકારની
તપાસમાં સેબીમાં કામ કરવાના અયોગ્ય માહોલ તથા વેતનની બાકી ચૂકવણી મામલે સેબીના કર્મચારીઓ સાથે વાતચીતને આવરી લેવાઈ હતી. સેબીના ટોચના મેનેજમેન્ટને કર્મચારીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ અભિગમ અપનાવવાનું જણાવાયાં બાદ આ મામલાનો ઉકેલ આવ્યો હતો.
તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, બુચ દ્વારા સેબીમાં વ્યાપક સુધારા માટે લેવાયેલા પગલાંનો કેટલાંક કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં સરકારે નિર્ણય કર્યો હતો કે, બુચ 28 ફેબ્રુઆરી, 2025 સુધીનો તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરશે.
હિન્ડેનબર્ગે ઓગસ્ટમાં આક્ષેપ કર્યો હતો કે, સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે અદાણી જૂથ સાથે સંકળાયેલા ઓફશોર ફંડ્સમાં રોકાણ કર્યું હોવાથી બજાર નિયામક અદાણી અંગેના તેના જાન્યુઆરી, 2023ના રિપોર્ટ પર કાર્યવાહી કરવાની અનિચ્છા ધરાવે છે.