Rajkot,તા.5
સરકાર દ્વારા વેપારીઓનાં કમિશનમાં વધારો, વેપારીઓને અન્યાયી પરિપત્રો, સહિતની પાંચ મહત્વપૂર્ણ માંગણીઓનો આવતા 15 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી અપાતા ગઈ કાલે સાંજે ચોથા દિવસે રાજયભરનાં 17 હજાર વેપારીઓની સંગઠ્ઠનનાં હોદેદારો અને પૂરવઠા મંત્રી, વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થતા હવે આજથી વેપારીઓ ફરી વિતરણ ચાલુ કરી દેશે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાજબી ભાવના દુકાનદારો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં દુકાનદારો સાથે સંવાદ સાધતાં સુશ્રી મોના ખંધારે વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે અપીલ કરી હતી. અગ્ર સચિવએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી દ્વારા વિવિધ એસોસિયેશનના પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે.
સુશ્રી મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારી લીધા છે. બાકીના મુદ્દાઓ નીતિ વિશષક છે, જે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે, જેનું હકારાત્મક પરિણામ ટૂંક સમયમાં આવી જશે.
અગ્ર સચિવએ ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર વાજબીભાવના દુકાનદારોનો આભાર માનીને જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આપણે સૌ સહયોગીઓ છીએ.
હાલની વાવાઝોડાની સ્થિતિમાં સામાન્ય લોકોને સમયસર અનાજ પૂરું પાડવાની આપણી જવાબદારી આપણે સૌ સારી રીતે નિભાવીશું, એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
જાહેર વિતરણ વ્યવસ્થાની બાબતે ગુજરાત અગ્રેસર રહ્યું છે. વન નેશન, વન રાશનથી લઈને અનેક બાબતોમાં રાજ્યમાં સારી કામગીરી ચાલી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

