જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે, માનવસેવા એ જ માધવસેવા છે. એ વિચારસરણી હવે દ્રઢ થતી જાય છે. ઈસુ ખ્રિસ્તે જનસેવાને આદેશ આપ્યો છે. બુધ્ધ અને મહાવીરે જીવમાત્ર પ્રત્યે અનુકંપા દાખવવા પર ખાસ ભાર મૂક્યો છે. ધર્મગ્રંથોએ પણ સેવાને મહાન વ્રતરૂપ ગણાવી છે. જગતતા સંતોને ઈશ્વરના દર્શન જનસામાન્ય સેવામાં થયા છે. વિવેકાનંદ, શાસ્ત્રીજી, મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરૂષોએ પણ જનસેવાના જવલંત દ્રષ્ટાંત પુરા પાડયાં છે.
બિમાર, અશક્ત, બહેરા, મુંગા, આંધળા, નિરાધાર, ગરીબ, આફતગ્રસ્ત વગેરે દુ:ખીજનોને મદદરૂપ થવું જોઈએ. સેવા કાર્યોની ખોજ કરવા દૂર જવું પડે તેમ નથી. આજુબાજુ જ્યાં નજર કરો ત્યાં સેવાના કામો આપણી રાહ જોતા ખડા છે. દરેક માણસે તેની શક્તિ અનુસાર માનવમાત્ર દુ:ખ દર્દોને દૂર કરવા બનતા પ્રયત્નો કરવા જોઈએ.
નિ:સ્વાર્થભાવે કરેલી સેવાથી મન આનંદિત રહે છે. કોઈ અંધને રસ્તો ઓળંગાવ્યો હોય, કોઈ ગરીબનું કંઈ કામ કરી દીધું હોય, કોઈને ઉપયોગી થયા હોઈએ વગેરે બાબતો માણસના હૃદયને કોઈ અગમ્ય શાતા આપે છે આને ”એલ્ટ્રુઈઝમ” કહે છે. કુદરતી ન્યાયે બીજાનું ભલુ કરીશુ તો આપણુ પણ ભલુ થશે. પ્રમુખસ્વામી મહારાજનું આખુ જીવન પરને અર્થે કોઈ નિ:સ્વાર્થભાવે તેઓ સેવા કરતા થકી અખંડ શાંતિ અનુભવતા અને તેથી જ તેઓ સદા આનંદમાં રહેતા.
આજના મનોવિજ્ઞાનીઓ પણ આ વાતને પુરવાર કરે છે કે માનસિક તાણ (સ્ટ્રેસ) ને નાબુદ કરવું હોય તો બીજાની સેવા કરો. ડો. હેન્સ કહે છે : તણાવમુક્ત થવા ઉદાર મને સેવા કરવામાં આવે તો સામેની વ્યક્તિના હૃદયમાં પ્રેમ ને આદરની લાગણી જન્મે છે. જે સ્ટ્રેસમાં રાહત આપે છે.
પશ્ચિમના વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે, બીજાને મદદરૂપ થવાથી પોતાનું સ્વાસ્થ્ય અવશ્ય સુધરે છે, રોગ પ્રતિકારશક્તિ વધે છે. હૃદય સુદ્રઢ બને છે.
એક સર્વે મુજબ અમેરિકામાં મિશિગનમાં ૨૭૦૦ વ્યક્તિઓ પર ૧૦ વર્ષ સુધી અભ્યાસ હાથ ધરાયો હતો. તેમાં તારણ એવું નિકળ્યું કે જે વ્યક્તિો કોઈ ન કોઈ સ્વયંસેવી અથવા સ્વૈચ્છિક સેવાપ્રવૃત્તિમાં જોડાઈ હતી તેમનો મૃત્યુદર પ્રવૃત્તિહીન લોકોના પ્રમાણમાં અઢીગણો ઓછો હતો.
શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું : અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા-પિતા અને ગુરૂ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જ સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ પ્રમાણે કરવી (શ્લોક-૧૩૯) આમ, સેવાને સુખી સંસારની જડીબુટ્ટી ગણી છે. આ આજ્ઞા મુજબ વિશ્વ વર્તે તો વૃધ્ધાશ્રમો ખોલવા ન પડે. જનરેશન ગેપ કદી ઉભી ન થાય.
સેવાથી આધ્યાત્મિક લાભ પણ થાય છે. ધર્મ સંબંધી સેવાથી આત્મિક લાભ થાય છે. પ્રમુખસ્વામી મહારાજ કહે છે : સેવા કરવાથી દેહાભિમાન ટળે, દેહભિમાન ટળે એટલે દોષમાત્ર ટળી જાય… ભક્તિભાવ વધે, ધર્મરૂપી સંપત્તિ વધે…
ખરેખર, બીજાની સેવા કરવાથી પોતાનું અંગત જીવન સુખ અને શાંતિથી હર્યું – ભર્યું બને છે. માનવસેવા કરીને જ આપણે સાચો ધર્મ પાળી શકીએ અને પ્રભુની કૃપાને પાત્ર બની શકીએ