Uttar Pradesh, તા.9
ઈન્દોરનાં પર્યટક રાજા રઘુવંશીના ચકચારી મોતના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજાની લાશ મળી આવ્યા બાદ તેની પત્નિ સોનમ લાપતા હતી. આ કેસમાં ક્રાઈમ થ્રીલરને ટકકર મારે તેવો ખુલાસો થયો છે કે પત્નિ સોનમે જ પતિની સોપારી આપીને હત્યા કરાવી છે. સોનમ યુપીનાં ગાઝીપુરના ઢાબા પર મળી આવી હતી અને અહીં તે પોલીસને શરણે થઈ હતી.
મેઘાલયમાંથી 17 દિવસ પહેલા લાપતા થયેલી સોનમ રઘુવંશી ઉતરપ્રદેશ ગાઝીપુરનાં એક ઢાબા પર મળી આવી હતી. સોનમ હાલ વનસ્ટોપ સેન્ટરમાં છે અને કંઈપણ બોલવાની સ્થિતિમાં નથી.પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મેઘાલયનાં ડીજીપી આઈ.નોક્ષામે જણાવ્યુ હતું કે ઈન્દોરનાં પર્યટક રાજા રઘુવંશીની હત્યા કથિત રીતે મેઘાલયમાં હનીમુન દરમ્યાન તેની પત્નિ દ્વારા ભાડામાં લેવાયેલા લોકોએ કરી હતી.
પત્નિ સોનમે જણાવ્યું હતું કે તેણે ઉતરપ્રદેશનાં ગાઝીપુરમાં પોલીસ સામે આત્મ સમર્પણ કર્યું છે. જયારે રાતભર દરોડા દરમ્યાન ત્રણ અન્ય હુમલાખોરોને ઝડપી લેવામાં આવ્યા છે.
મેઘાલયનાં ડીજીપીએ એ બાબતની જાણકારી આપી હતી કે સોનમ સહિત ચાર લોકોને રાજા રઘુવંશીની હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. સોનમે જ પતિની હત્યાની આ લોકોને સોપારી આપી હતી.
દેશભરમાં ચકચાર જગાવનાર રાજા રઘુવંશી હત્યા કેસની ગુંચ ઉકેલાતા મેઘાલયનાં સીએમે એકસ પર પોસ્ટ કરતા લખ્યુ હતું રાજા હત્યાકાંડમાં 7 દિવસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે.મધ્ય પ્રદેશમાં રહેતા 3 હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.
ધરપકડ કરાયેલા હુમલાખોરોએ કબુલાત કરી હતી કે સોનમે તેમને હત્યા માટે સોપારી આપી હતી. સોનમનાં પિતા દેવીસિંહે મીડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે 2 વાગ્યે સોનમ ગાઝીપુરના એક ઢાબા પર પહોંચી હતી. ત્યાં ઢાબાવાળાને કહીને ભાઈ ગોવિંદને કોલ કર્યો હતો. ગોવિંદ ગાઝીપુરથી પોતાના પરિચીતને ત્યાં મોકલાવ્યો ત્યારબાદ તેણે સોનમ સાથે વાત કરાવી હતી.
આ કિસ્સામાં ગાઝીપુરની પોલીસે જણાવ્યું હતું કે હાલ સોનમ નિવેદન આપવાની સ્થિતિમાં નથી તે લાંબા સમયથી સુતી પણ નથી તેને ગાઝીપુરનાં વન સ્ટોપ સેન્ટરમાં મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
પોલીસ જયારે પેટ્રોલીંગ પર હતી ત્યારે પોલીસ કર્મીઓએ નંદગંજનાં ઢાબા પર એક મહિલાને બેભાન હાલતમાં મળી હતી. બાદમાં જાહેર થયુ હતું કે આ મહિલા સોનમ રઘુવંશી જ છે.જે શિલોંગથી લાપતા થઈ હતી.