ચેમ્પિયન ટીમે પુરસ્કારની રૂા. ૫૧ હજારની રકમ ખોડલધામ કેન્સર હોસ્પિ. એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં અર્પણ કરી
Rajkot,તા.21
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ ખોડલધામ યુવા સમિતિ દ્વારા પાળ ગામના એસ.જી. ક્રિકેટ કલબ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્ના.નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (કેવાયપીએલ)માં ગુજરાતભરમાંથી ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. આ તમામ ટીમો વચ્ચે ૯ દિવસ સુધી કુલ ૩૧ મેચ રમાઈ હતી. જેમાં ૧૮ મેના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં ભારે રોમાંચ બાદ શ્રીજી ઈલેવન ચેમ્પિયન બની હતી.
તા. ૧૭ મેના રોજ રમાયેલી બે સેમિફાઈનલ મેચ બાદ શ્રીજી ઈલેવન અને વિશાલ વોરિયર્સ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જેમાં પ્રથમ બેટિંગ કરીને વિશાલ વોરિયર્સ ટીમે ૧૪ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૧૯ રન બનાવ્યા હતા.
૧૧૯ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીજી ઈલેવન ટીમની શરૂઆત નબળી થઈ હતી અને શરૂઆતની ૬ વિકેટ ઓછા રનમાં પડી ગઈ હતી. જો કે ત્યારબાદ ગૌરાંગ પટેલ અને નિકુંજ વાડોદરિયાએ સારી ભાગીદારી કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. ફાઈનલ મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી અને છેલ્લા બોલ પર એક રન લઈને શ્રીજી ઈલેવન ટીમ ૧ વિકેટે ખોડલધામ યુવા પ્રિમિયર લીગમાં ચેમ્પિયન બની હતી.
આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમ શ્રીજી ઈલેવનને ટ્રોફી અને ૫૧ હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવેલ, જ્યારે રનર્સ અપ ટીમ વિશાલ વોરિયર્સને ટ્રોફી અને ૨૧ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અપાયેલ. આ બન્ને ટીમને ખોડલધામનો ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા.
ચેમ્પિયન બનેલ શ્રીજી ઈલેવન ટીમના કેપ્ટન અશ્વિન શીંગાળા અને તમામ ખેલાડીઓએ એક સરાહનીય નિર્ણય લીધો હતો. રૂા. ૫૧ હજારનો રોકડ પુરસ્કારની રકમ તેમણે ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના નિર્માણમાં અર્પણ કર્યો હતો.