બેંગ્લોર સ્થિત પતિ, સાસુ અને બે નણંદ વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજકોટ , તા.૩૧
શહેરમાં રૈયા રોડ પર બહેનના ઘેર રહેતી અને મૂળ બેંગ્લોરની સ્વાતિબેન દર્શનભાઇ જાની નામની પરિણીતાએ પતિ દર્શન અરૂણભાઇ જાની, નણંદ ફાલ્ગુનીબેન જાની અને સંગીતાબેન જયંતકુમાર રાવલ સામે મહિલા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાતિબેને ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, મારા લગ્ન તા.21-5-2022ના રોજ કર્ણાટક રાજ્યના બેંગ્લોર રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા દર્શન જાની સાથે થયા હતા. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય જેમાં મારા પતિ, સાસુ અને નણંદ ફાલ્ગુની જેના લગ્ન થયા નથી. તેમજ મારા પતિના આ બીજા લગ્ન હોવાનું જણાવ્યું હતું.
પરિણીતાએ જણાવ્યું છે કે, મારા લગ્નના એક માસ બાદ મારી નણંદ ફાલ્ગુની ઘરકામ બાબતે મેણાં મારતી હતી અને મોરબી ખાતે રહેતા મારા નણંદ સંગીતા એક માસ અમારા ઘરે રોકાયા હતા ત્યારે બન્ને નણંદ અને પતિ સહિતના કહેતાં કે આને રસોઇ બનાવતા નથી આવડતી અને આપણા ઘરે કોઇ બહારના વ્યક્તિ આવે તો કેવી રીતે વર્તન કરવું એવું શીખવાડ જો. આ સ્વાતિને ખબર નથી પડતી. મારા નણંદ રોકાયા હોય અને તેઓ કહેતા કે તારા માવતરના ઘેરથી તને કાંઇ શિખવાડેલ નથી. તને કાંઇ આવડતું નથી અને તું અમારા ઘરને લાયક પણ નથી. તને તો કામવાળીની જેમ જ રાખવાની છે. ભાઇ-બહેનો મળી ત્રણેય હેરાન કરતા હોય જેથી મારા પતિને કહેતી કે અહીં બેંગ્લોરમાં મારું કોઇ નથી. તમે એકજ છો. તમે પણ મને હેરાન કરો છો અને મારા પતિએ મારા બનેવી રાજકોટ રહેતા હોય તેને ફોન કરીને કહેલ કે તમો આ સ્વાતિને આવીને અહીંથી તેડી જાવ. તેને ઘરનું કાંઇ કામ આવડતું નથી જેથી મારા બહેન અને બનેવીએ આવી સમાધાન અંગે વાત કરતા હતા, પરંતુ તેઓએ તમે આને અત્યારે જ તેડી જાવ એમ કહેતા મને તેડી ગયા હતા.
ત્યાર બાદ મારા બહેનના ઘરે ત્રણ માસ રોકાઇ હતી. જે બાદ મારા બનેવીએ મારા પતિને બોલવી સમજાવતા તેઓ પરત લઇ ગયા હતા. ત્યાર બાદ થોડા દિવસ પછી નણંદ અને પતિ ફરી મેણાં મારતા હોય તેને ફોન કરી તેના ભાઇને જાણ કરતાં તેની નણંદ અને પતિએ મારકૂટ કરી હતી. જેથી તે રાજકોટ આવી ગઇ હતી અને ત્યાર બાદ તેના ભાઇના ગોંડલ ખાતે લગ્ન હોય ત્યાં મારા પતિ સહિતના આવ્યા હતા અને મારા પતિએ લગ્નમાં વહેવાર કરાવ્યો હતો જે વહેવાર દોઢ ગણો લઇને આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ પરત બેંગ્લોર જતા મારા પતિ અને નણંદે કહેલ કે તારાભાઇના લગ્નમાં જે વહેવાર કર્યો હતો તે તું દોઢો કેમ નહીં લાવી ઝઘડો કર્યો હતો. જેથી તેના ભાઇને ફોન પર જાણ કરી ગોંડલ જતી રહી હતી. બાદમાં ફોન કરતા પતિએ કહેલ કે મારે હવે એની કોઇ જરૂર નથી. જેથી તેને ફરિયાદ કરી હોવાનું જણાવતા એએસઆઇ સાવલિયા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.