ઘણા લોકોને કાર્ડિયોલોજીસ્ટો બ્રેડિકાર્ડિયા નામની તકલીફનું નિદાન કરતા હોય છે. આ તકલીફમાં હૃદય ઘણી વખત નોર્મલ કરતાં ધીમી ગતિએ ધબકવા માંડે છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલા વેક ફોરેસ્ટ બાપ્ટિસ્ટ મેડીકલ સેન્ટરે કરેલા લેટેસ્ટ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આવી તકલીફ હોય તો વહેલું મૃત્યુ થઇ શકે એ વાતમાં દમ નથી.
સામાન્ય રીતે પુખ્ત વયની તંદુરસ્ત વ્યકિતનું હૃદય મિનિટદીઠ ૬૦થી ૧૦૦ વખત ધબકે છે, જ્યારે બ્રેડિકાર્ડિયામાં આ દર ઘટીને ૫૦થી પણ ઓછો થઇ જાય છે. આને કારણે લોહીમાં ઓક્સિજનનો પૂરતો પૂરવઠો મળી શકતો નથી અને વ્યકિતને ચક્કર આવે, શ્વાસ ચડે, છાતીમાં દુખે કે બેભાન થઇ જાય જેવી સ્થિતિ સર્જાઇ શકે. જોકે આ સ્ટડી સાથે જોડાયેલા ભારતીય મૂળના તબીબ અજય ધરોડે જણાવ્યું છે કે, આનાથી એવું કયાંય સાબિત થતું નથી કે બ્રેડિકાર્ડિયાથી કાયમી કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝ થાય છે.