Prabhas Patan,તા.10
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ઉનાળું વેકેશનમાં શ્રદ્ધાળુંઓ અને પર્યટકોની ભારે ભીડ સાથે માનવ દરિયો ઘૂઘવ્યો હતો. બે મહિના દરમિયાન 15 લાખથી વધુ ભાવિકો સોમનાથમાં ઉમટયાં હતાં.
વેકેનશન ખુલવા પહેલાના શનિ-રવિની રજા, માવઠાનો વરસાદ બંધ હતો તેમજ યાત્રિકો માટે વંદે ભારત અદ્યતન ઝડપી ટ્રેન શરૂ થતાં લોકો સપરિવાર સોમનાથ, દીવ, સાસણ, દ્વારકાની સરકીટ યાત્રા-પ્રવાસ સરકીટ બનાવી સોમનાથ ઉમટયા હતા. જેથી સોમનાથના પાર્કિંગમાં વાહનોના થપ્પા લાગ્યા હતા. ખાણી-પીણીના સ્ટોલો ભરચક રહ્યા હતા. નાની-મોટી ચીજ વસ્તુઓ વેંચનારાના મુખ ઉપર લાંબા સમયે સ્મિત દેખાયું હતું.સોમનાથમાં બે માસમાં 15,29000 શ્રદ્ધાળુઓએ સોમનાથ મંદિર શીશ નમાવી દર્શન કર્યા હતા. જેમાં તારીખ 1મેથી 31 મે દરમિયાન 8 15,000 અને એપ્રિલ- 2025માં 7,14000 લોકોએ સોમનાથ દર્શન કર્યા હતાં. સોમનાથના ખાનગી ગેસ્ટ હાઉસ-ભોજનાલયો, વિના મુલ્યે અન્નક્ષેત્ર પ્રસાદીધરો, વોક-વે, ત્રિવેણી સંગમ-ગીતા મંદિર- ભાલકા- ભીડીયા સર્વત્ર ભારે ભીડ રહી હતી. આ સાથે એસ.ટી, ખાનગી ટ્રાવેલ્સ, રેલવે, ચાંદલા કરનારા સર્વત્ર વેકેશનના છેલ્લાગાળામાં તેજીનો ચમકારો રહ્યો હતો. ઉનાળુ વેકેશન દરમિયાન દર્શન કરવા કે લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા કે સોમનાથ મંદિરની પ્રસાદી ખરીદવા લાંબી- લાંબી લાઈનો કતારો પણ અવારનવાર થતી હતી.