Rajkot,તા.૧૩
શહેરમાંથી એક ચોંકાવનારી અજીબો ગરીબ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોરબંદર ખાતે પોતાની માતાના મૈયતના પ્રસંગમાં જઈ રહેલા પુત્રને રસ્તામાં કાળનો ભેટો થયો હોવાની ઘટના સામે આવી છે. જુના માર્કેટિંગ યાર્ડથી આજીડેમ તરફ જતા રોડ અકસ્માતની ઘટનામાં ૫૦ વર્ષીય યુસુફ મુકાદમ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની ઘટના સોમવારના રોજ સવારના અરસામાં બની હોવાનું સામે આવ્યું છે.
પોલીસમાંથી મળતી વિગતો અનુસાર રીક્ષા ચાલક દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી મુસાફરોને બેસાડીને ગોંડલ ચોકડી તરફ રવાના થયો હતો. ત્યારે જુના માર્કેટિંગ યાર્ડથી આજીડેમ ચોકડી તરફ જતા રસ્તે પાછળથી આવી રહેલી કાર દ્વારા અચાનક જ ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે રીક્ષામાં સવાર બેઠેલા મુસાફરો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તેમાં ત્રણ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુસુફ મુકાદમ હાલ અમદાવાદ ખાતે પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતે મૂળ પોરબંદરનો વતની હતો. યુસુફની માતા કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોવાથી પોતાની માતાના મૈયતના પ્રસંગમાં સામેલ થવા માટે અમદાવાદથી પોરબંદર જવા માટે નીકળ્યો હતો. જે અરસામાં તેનું રાજકોટ ખાતે મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના સમજ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ કલમ ૧૦૬(૧) તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. મળતી વિગત અનુસાર બનાવ સમયે રિક્ષામાં કુલ ૭ જેટલા વ્યક્તિઓ સવાર હતા. ત્યારે પોલીસ દ્વારા હાલ કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.