South Korean,તા.૪
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે મોડી રાતે દેશમાં ઈમરજન્સી માર્શલ લો લગાવવાની જાહેરાત કરી હતી. જો કે માત્ર ૬ કલાક બાદ તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. વાત જાણે એમ છે કે સંસદમાં ભારે વિરોધ બાદ તેને અમાન્ય ગણાવવામાં આવ્યો. મોડી રાતે સત્તાધારી અને વિપક્ષ બંને પક્ષોના ૩૦૦માંથી ૧૯૦ સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લોને અસ્વીકાર કરવા માટે મતદાન કર્યું. ત્યારબાદ માર્શલ લો હટાવવો પડ્યો. સવારે ૪.૩૦ વાગે (સ્થાનિક સમય મુજબ) રાષ્ટ્ર જોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કહ્યું કે નેશનલ એસેમ્બલી તરફથી ઈમરજન્સી હટાવવાની માંગણી કરાઈ છે અને અમે અસેમ્બલીની ભલામણને કબૂલ કરતા નિર્ણય પાછો ખેંચી રહ્યા છીએ. આ સાથે જ તૈનાત કરાયેલી સેનાને પાછી બોલાવી લેવાઈ છે.
વર્ષ ૧૯૮૦માં વિદ્યાર્થીઓ અને શ્રમિક સંઘોના નેતૃત્વમાં એક રાષ્ટ્રવ્યાપી વિદ્રોહ દરમિયાન છેલ્લી વખત કોઈ દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિએ માર્શલ લોની જાહેરાત કરી હતી.
ઈમરજન્સી માર્શલ લોની જાહેરાત બાદ સેનાએ સંસદમાં ઘૂસવાની કોશિશ કરી પરંતુ સાંસદોના ભારે વિરોધ બાદ સંસદના સ્પીકરે તેને અમાન્ય ગણાવી દીધુ. આ સાથે જ સાંસદોએ અડધી રાતે તેના પર ચર્ચા કરી અને નિર્ણય પાછો લેવાના સમર્થનમાં મતદાન કર્યું. દક્ષિણ કોરિયન કાનૂન હેઠળ જો સંસદ બહુમતીથી માંગણી કરે તો રાષ્ટ્રપતિએ તરત માર્શલ લો હટાવવો પડે. ઈમરજન્સીની જાહેરાત બાદ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતાઓ પેદા થઈ ગઈ હતી. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતાઅને સરકાર વિરુદ્ધ નારેબાજી થઈ રહી હતી. એટલું જ નહીં તેમની પાર્ટીના જ લોકોએ પણ વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો.
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિના માર્શલ લો લગાવવાના નિર્ણયનો વિરોધ વિરોધ પક્ષની પાર્ટીઓ સહિત સત્તાધારી પક્ષના નેતા પણ કરી રહ્યા હતા. યુન સુક યોલના આ નિર્ણયનો તેમની જ પાર્ટીના નેતા હેન ડોંગ-હુને આકરો વિરોધ કર્યો. સંસદમાં માર્શલ લો વિરુદ્ધ થયેલા મતદાનમાં હુને પણ ભાગ લીધો હતો.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે મંગળવારે વિપક્ષી દળો પર સરકારને પંગુ બનાવવાની, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ રાખવાની અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવીને દેશમાં ઈમરજન્સી માર્શલ લોની જાહેરાત કરી હતી. તેમણે ટેલિવિઝન પર પ્રસારિત રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિ યુન સુક યોલે પોતાના સંબોધનમાં કહ્યું કે દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાની કમ્યુનિસ્ટ તાકાતો દ્વારા ઊભા થયેલા જોખમોથી બચાવવા અને દેશ વિરોધી તત્વોને ખતમ કરવા માટે હું ઈમરજન્સી માર્શલ લોની જાહેરાત કરું છું. તેમણે દેશના સ્વતંત્ર અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે તેને જરૂરી ગણાવ્યું. આ જાહેરાત આગામી વર્ષના બજેટને લઈને યુનની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિવાદો બાદ આવી છે.
માર્શલ લો લાગૂ થયા બાદ દક્ષિણ કોરિયામાં તણાવ વધી ગયો અને સંસદની બહાર ભીડ ભેગી થઈ ગઈ હતી. વિપક્ષી દળો અને સત્તાધારી સાંસદોએ પણ તેનો વિરોધ કર્યો. સેકડો વિરોધીઓ અને મીડિયા કર્મી સંસદની બહાર ભેગા થઈ ગયા. નારેબાજી કરી અને દક્ષિણ કોરિયન ધ્વજ લહેરાવીને વિરોધ પ્રદર્શન કર્યું. દક્ષિણ કોરિયાની વિપક્ષી પાર્ટીના નેતા રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ દ્વારા માર્શલ લોની જાહેરાતને ગેરબંધારણીય પણ ગણાવી દીધી. તેમણે કહ્યું કે આ પગલું દેશના બંધારણ વિરુદ્ધ છે અને લોકતાંત્રિક પ્રક્રિયાઓને નબળી કરે છે.