Sri Lanka,તા.૨૯
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ભારે વરસાદને પગલે વિષમ હવામાનને કારણે શ્રીલંકામાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૩.૩૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ ગુરુવારે આ અંગેની માહિતી આપી છે. મૃતકોમાંથી આઠ અમ્પારાના પૂર્વ જિલ્લાના હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન બંગાળની ખાડીમાં રચાયેલા ઊંડા દબાણ ક્ષેત્રનું પરિણામ હતું, જે મુખ્યત્વે પૂર્વીય પ્રાંતને અસર કરે છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (ડીએમસી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૧ જિલ્લાઓમાં ૯૮,૦૦૦ થી વધુ પરિવારોના ૩,૩૦,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે. હવામાન કેન્દ્રે શુક્રવાર સુધી વધુ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે નેશનલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બુધવારે ૯ માંથી ૪ પ્રાંતો માટે ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે ૮૦ થી વધુ મકાનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે ૨૫,૦૦૦ થી વધુ લોકોને ૨૬૦ થી વધુ આશ્રયસ્થાનોમાં સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ અસરગ્રસ્તોને રાહત આપવા માટે લશ્કરી જવાનોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા બુધવારે ભારે વરસાદને કારણે કોલંબો જતી ઓછામાં ઓછી છ ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારે ૮ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં ૭૫ મીમી વરસાદ પડ્યો હતો અને ટાપુના મોટા ભાગ પર ભારે પવન ફૂંકાયો હતો. સિંચાઈ વિભાગે કેલાની નદી બેસિન અને કાલા ઓયા બેસિનમાં ઘણા નીચાણવાળા વિસ્તારો માટે પૂરની ચેતવણી જારી કરી છે, જે શુક્રવાર સવાર સુધી અમલમાં રહેશે.