Myanmar,તા.28
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે જોરદાર ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ હતી જેના લીધે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે છેક બેંગકોક સુધી તેના આંચકા અનુભવાયા હતા.
મળતી માહિતી મુજબ, ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય મણિપુર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો નોંધાયા હતા.
મ્યાનમાર અને ભારત સિવાય બેન્કોકમાં પણ 6.2 તીવ્રતાના ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. મ્યાનમારમાં પહેલીવાર 11:52 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો અને બાદમાં 12:02 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ઑફ જીયોસાઇન્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ધરતીની 10 કિ.મી નીચે હતું.
બેન્કોક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પૂલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં મનજાલે શહેરની પાસે જણાવવામાં આવી રહ્યું છે.