એક્ટિવ કેસની સંખ્યા ૨૬૫, ૧૧ દર્દી હોસ્પિટલમાં દાખલ,રાજકોટમાં કોરોનાના કેસોમાં અચાનક થયેલો ઉછાળો ચિંતાનો વિષય
Ahmedabad,તા.૩૧
ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આજે આજે એક જ દિવસમાં ૬૮ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૬૫ પર પહોંચી છે. હાલ જે એક્ટિવ કેસ છે તેમાં ૧૧ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ૨૫૪ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને એનઆઇસીયુમાં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ ૨ દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી, જેના કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. બાળક અત્યારે બે દિવસનું છે. તેનું વજન ઓછું હોવાથી એનઆઇસીયુમાં રાખવામાં આવ્યું છે. હાલ તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકની નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં ૩ દર્દી પૈકી એક બાળક ૮ મહિનાનું કોરોના પોઝિટિવ છે. ૮ મહિનાના બાળકને અનેક તકલીફ છે અને તે સિરિયસ હોવાથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.
ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે એક જ દિવસમાં નવા ૬૮ પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ૨૬૫ પર પહોંચી છે. જેમાં ૧૧ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ૨૫૪ હોમ આઈસોલેશનમાં છે.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસ સામે ડરવાની બિલકુલ જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવી જોઇએ. અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ, પણ કોઈ એવી સ્થિતિ નથી અને વાઇરસનો વેરિયન્ટ ખતરનાક નથી એટલે હજુ કોઈ એસઓપી બનાવી નથી. જો કોઈ લક્ષણો જોવા મળે તો પરિવાર કે અન્ય કોઈને ચેપ ન લાગે એ માટે પોતાને આઈસોલેટ કરી લેવા જોઇએ.
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે લક્ષણો જણાય ત્યારે તરત મેડિકલ ચેકઅપ કરાવી લેવું. આ ઓમિક્રોનનો વેરિયન્ટ છે અને બહુ એડવાન્સ સ્ટેજ સુધી બીમારી થાય તો જ જોખમી છે. તરત સારવાર મળી જાય તો આ સામાન્ય ન્યુમોનિયા જેવો જ છે. ભારતમાં બે વેરિયન્ટ જોવા મળ્યા છે અને એવા જ સિમ્પ્ટમ્સ ગુજરાતના કેસમાં છે એટલે ગુજરાતમાં પણ ઓમિક્રોનના સબ વેરિયન્ટ્સ એલએફ.૭ અને એનબી.૧.૮.૧ હશે.
રાજકોટમાં પણ કોરોનાનો કહેર યથાવત્ છે. આજે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા છે. ૨ મહિલા અને ૬ પુરુષ સહિત વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારસુધીના કુલ કેસની સંખ્યા ૨૪ પર પહોંચી છે. છેલ્લા ૩ દિવસમાં જ ૧૯ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યો છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.
નવા કેસની વિગતવાર માહિતી,મવડી વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય પુરુષ,અંબિકા પાર્ક વિસ્તારમાં રહેતી ૬૮ વર્ષીય મહિલા,સરદાર ટાઉનશિપમાં રહેતા ૨૮ વર્ષીય પુરુષ,લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય પુરુષ,કોઠારિયા રોડ નજીક રહેતા ૩૫ વર્ષીય પુરુષ,વિરાણી ચોક નજીક રહેતી ૨૨ વર્ષીય મહિલા,ખત્રીવાડમાં રહેતા ૨૧ વર્ષીય પુરુષ,જીવંતીકાનગરમાં રહેતા ૩૧ વર્ષીય પુરુષ
રાજકોટમાં કોરોનાના કેસોમાં અચાનક થયેલો ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને છેલ્લા ૩ દિવસમાં ૧૯ નવા કેસ નોંધાવાને કારણે સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગ વધુ ગંભીર બન્યાં છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને પણ સાવચેતી રાખવા અને કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.સ્ટિંગની પ્રક્રિયા વધુ વ્યાપક બનાવવામાં આવી રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમજ ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ વ્યાપક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ કેસોના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પર નિયમિત નજર રાખવામાં આવી રહી છે અને તેમને જરૂરી તબીબી સલાહ અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ માટે પૂરતા બેડ અને મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.