દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા
Jaipur, તા.૨૪
ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પર્વત પરથી વહેતા ધોધમાં ૫ પ્રવાસીઓ તણાયા હતાં તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુંધા માતાના દર્શને આવેલા પર્યટકોમાં ચાર લોકો ભારે વરસાદને કારણે પર્વત પર ફસાયા છે. જ્યારે મંદિરના પગથિયા પર પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પર્વત પરથી વહેતા ધોધમાં ૫ પ્રવાસીઓ તણાયા હતાં તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. હાલમાં દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યાં છે. જાલોર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યાં છે.
જણાવી દઈએ કે, રાજસ્થાનના જાલોરના જસવંતપુરા પાસે આવેલી સુંધા માતા ટેકરી પર ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી પડી રહેલા વરસાદમાં ત્યાં આવેલા પર્વતીય ઝરણાઓ પૂરઝડપે વહી રહ્યાં છે. જેને લઈને સુંધા માતા તીર્થસ્થાન તરફ જતી સીડીઓ પર પાણીનો ધોધ વહેતો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, ટેકરી પર આવેલા મંદિરની સામેના રસ્તાઓ પર ૩ ફૂટ સુધી પાણી વહી રહ્યું છે. આ ભયાનક સ્થિતિને લઈને તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ સલામત સ્થળે પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, રાજસ્થાનના જાલોરમાં એકમાત્ર પહાડી પર્યટન અને તીર્થસ્થળ આવેલું છે. આથી મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ અને ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. પરંતુ ભારે વરસાદને કારણે તમામ લોકો સલામત સ્થળ શોધી રહ્યા છે. જોકે, કોઈ મોટી નુકસાનીના હાલ સમાચાર મળી રહ્યા નથી, પરંતુ દર્શન માટે ગયેલી ગુજરાતની એક મહિલા પાણીમાં તણાઈ હતી. ભારે પૂરના કારણે આ મહિલાનું મોત નીપજ્યું હતું અને બ્રિજની રેલિંગ પર તેનો મૃતદેહ અટવાઈ ગયો હતો.
સુંધા માતાજીનું મંદિર લગભગ ૯૦૦ વર્ષ જૂનું છે, જે એક ઉંચી ટેકરી પર આવેલું છે અને તેમાં “મા સુંધા”ની મૂર્તિ સ્થાપિત છે. રાજસ્થાનનો પ્રથમ રોપ-વે અહીં સ્થાપિત કરવામાં આવ્યો છે. સુંધા માતાજીનું મંદિર લગભગ ૮૫૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિર સફેદ રંગના માર્બલ પથ્થરથી બનેલું છે. આબુના દિલવારા મંદિર જેવું લાગે છે. જણાવી દઈએ કે, મંદિરમાં મા ચામુંડા દેવીની મૂર્તિ પણ છે. આ ઉપરાંત, પર્વત પર ઘણા સંન્યાસીઓ છે.