મહાત્મા ગાંધી પણ વાઇસરોયને સંબોધતી વખતે ‘તમારા વિશ્વાસુ સેવક’ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા
New Delhi, તા.૨૬
સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિનાયક દામોદર સાવરકર પર બેજવાબદાર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી અને ચેતવણી આપી હતી કે જો રાહુલ ગાંધી સ્વાતંર્ત્ય સેનાની પર બેજવાબદાર નિવેદન કરશે તો કોર્ટ તેની જાતે નોંધ લઈને કાર્યવાહી કરશે. જોકે સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધી સામેની ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી હતી.ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બનેલી ખંડપીઠે રાહુલ ગાંધી વતી હાજર રહેલા વકીલ અભિષેક સિંઘવીને સવાલ કર્યો હતો કે શું તમારા અસીલને જાણકારી છે કે મહાત્મા ગાંધી પણ બ્રિટિશ વાઇસરોયને સંબોધતી વખતે ‘તમારા વિશ્વાસુ સેવક’ જેવા શબ્દોનો ઉપયોગ કરતાં હતાં? શું આનાથી મહાત્મા ગાંધીને બ્રિટિશરોના નોકર કહી શકાય. ન્યાયાધીશ દીપાંકર દત્તા સવાલ કર્યો હતો કે શું તમારા ક્લાયન્ટને ખબર છે કે તેમના દાદી (ઇન્દિરા ગાંધી) વડાપ્રધાન હતાં, ત્યારે તેમણે પણ આ સજ્જન (સાવરકર)ની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો?” આપણે સ્વાતંર્ત્ય સેનાનીઓ વિશે બેજવાબદાર નિવેદનો ન કરવા જોઇએ.તમે કાયદાના સારો મુદ્દો ઉઠાવ્યો છે, તમને સ્ટેનો અધિકાર છે. અમે તેના પર કંઈ કહી રહ્યા નથી. તેમના (રાહુલ ગાંધી)ના હવેના કોઈપણ નિવેદન પર સુઓ મોટો નોંધ લેવામાં આવશે. આપણા સ્વાતંર્ત્ય સેનાનીઓ પર હવે કોઈ પણ શબ્દ નહીં… તેમણે આપણને સ્વતંત્રતા આપી છે અને આપણે તેમની સાથે આ રીતે વર્તન કરીએ શકીએ? આ યોગ્ય નથી. આ પછી સર્વોચ્ચ અદાલતે ઉત્તરપ્રદેશ સરકાર અને ફરિયાદી એડવોકેટ નૃપેન્દ્ર પાંડેને નોટિસ જારી કરી અને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ ટ્રાયલ કોર્ટના સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.