વર્ષ ૨૦૨૫ના જ્યુડિશિયલ કેલેન્ડરમાં ઉનાળાના બ્રેકને આંશિક કાર્ય દિવસ તરીકે નામાંકિત કરવામાં આવ્યો
નવી દિલ્હી, તા. ૭
CJI દ્વારા ન્યાયતંત્ર અંગે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના CJI ચંદ્રચુડે પોતાની નિવૃત્તિના થોડા દિવસો પહેલા જ આજે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. CJI એ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવતું ઉનાળુ વેકેશન રદ્દ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે, હવે માત્ર આંશિક કોર્ટ કામકાજના દિવસો રહેશે. આ નવો નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. વર્ષ ૨૦૨૫ના જ્યુડિશિયલ કેલેન્ડરમાં ઉનાળાના બ્રેકને ‘આંશિક કાર્ય દિવસ’ તરીકે નામાંકિત કરવામાં આવ્યો છે. સુધારેલા નિયમો મુજબ, આંશિક કામકાજના દિવસો ૨૬ મે, ૨૦૨૫થી શરૂ થશે અને સંપૂર્ણ કામકાજના દિવસો ૧૪ જુલાઈ, ૨૦૨૫થી શરૂ થશે.
સુપ્રીમ કોર્ટ આ બે સત્રો માટે બેસશેઃ પ્રથમ સત્ર આંશિક કામકાજના દિવસો સાથે શરૂ થશે, જે શિયાળાના વિરામના આગલા દિવસે સમાપ્ત થશે. બીજું સત્ર શિયાળુ વેકેશનના અંતથી શરૂ થશે. આ દરમિયાન, આંશિક કામકાજના દિવસોનો સમયગાળો ઝ્રત્નૈં દ્વારા નક્કી કરવામાં આવશે, જેઓ આ સમયગાળા દરમિયાન કેસોની સુનાવણી માટે એક અથવા વધુ ન્યાયાધીશોની પણ નિમણૂક કરશે. આ ન્યાયાધીશો પ્રવેશ સંબંધિત તમામ કેસો, નોટિસ કેસો, નિયમિત કેસો અથવા તાકીદના કેસોની વિચારણા કરશે.
મહત્ત્વપૂર્ણ છે કે, CJI ચંદ્રચુડ, જેમણે ૯ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ચાર્જ સંભાળ્યો હતો, તેઓ ૧૦ નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ સંજીવ ખન્ના, હાલમાં સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે અને તેઓ ૧૧ નવેમ્બરે CJI નો ચાર્જ સંભાળશે.