New Delhi,તા.22
ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, કોઈ કેસમાં માત્ર સ્થળ પર હાજરી અથવા ત્યાંથી ધરપકડ એ સાબિત કરવા માટે પૂરતું નથી કે તેઓ ગેરકાયદે ભીડનો ભાગ હતા. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને મનોજ મિશ્રાની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના 2016ના ચુકાદાને ફગાવી દીધો હતો જેણે 2002 પછીના ગોધરા રમખાણોના કેસમાં છ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
ખંડપીઠે કહ્યું કે સ્થળ પર હાજરી અથવા ત્યાંથી ધરપકડ એ સાબિત કરવા માટે પૂરતું નથી કે તેઓ એક હજારથી વધુ લોકોની ગેરકાનૂની ભીડનો ભાગ હતા. મહત્વનું છે કે, ધીરુભાઈ ભાઈલાલભાઈ ચૌહાણ અને અન્ય પાંચ લોકોને વડોદ ગામમાં કબ્રસ્તાન અને મસ્જિદને ઘેરી લેવાના બનાવમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તમામ અરજદાર આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તમામ 19 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમાંથી 6ને દોષિત ઠેરવ્યા હતા. કેસ પેન્ડિંગ હતો ત્યારે એક આરોપીનું મોત થયું હતું. એફઆઈઆરમાં અપીલકર્તાઓ સહિત 7 લોકોના નામ છે.
નીચલી અદાલતના 2003ના નિર્ણયને પુન:સ્થાપિત કરીને સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ દોષિત ભૂમિકાની ગેરહાજરીમાં, 28 ફેબ્રુઆરી, 2002 ના રોજ વડોદમાં બનેલી ઘટનામાં તેની સંડોવણી વિશે સ્થળ પર તેની ધરપકડ નિર્ણાયક નથી. ખાસ કરીને જ્યારે તેમની પાસેથી ન તો વિનાશનું કોઈ હથિયાર કે ન તો કોઈ આગ લગાડવાની સામગ્રી મળી આવી હતી.