New Delhi, તા.6
સુપ્રીમ કોર્ટમાં એક અસાધારણ કેસ આવ્યો હતો, મામલો મૃતદેહ સાથે યૌન સંબંધનો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મૃતદેહ સાથે યૌન સંબંધમાં સજાની કોઈ જોગવાઈ જ નથી.
સુપ્રીમ કોર્ટે હત્યા બાદ શબની સાથે યૌન સંબંધના કેસમાં કર્ણાટક હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. હાઈકોર્ટે શખ્સને રેપના આરોપથી મુક્ત કર્યો હતો પણ હત્યાની સજા યથાવત રાખી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (આઈપીસી)માં નેક્રોફિલિયા એટલે કે શબની સાથે કામુકતાને અપરાધ નથી માનવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સુધાંશુ ધુલિયા અને જસ્ટીસ સહસાનુદીન અમાનુલ્લાહની બેન્ચ કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી.
આ મામલામાં કર્ણાટક સરકાર તરફથી એડીશનલ એડવોકેટ જનરલ અમન પંવારે તર્ક આપ્યો હતો કે, આઈપીસીની ધારા 375 (સી)માં ‘શરીર’ શબ્દને મૃત શરીરમાં પણ સામેલ માનવું જોઈએ.
તેમણે એમ પણ જણાવ્યું કે રેપની વ્યાખ્યામાં જોગવાઈમાં કહેવામાં આવ્યુ છે કે, જો કોઈ મહિલા સહમતી નથી આપી શકતી તો તેને દુસ્કર્મ માનવામાં આવશે. આ તર્કના આધારે મૃત શરીર પણ સહમતી નથી આપી શકતા એટલે આ અપરાધ બળાત્કારની શ્રેણીમાં આવવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલનો અસ્વીકાર કર્યો હતો.