Surat ,તા.૭
સુરત શહેરમાં સીટી લાઈટના શિવપૂજા કોમ્પલેક્ષમાં આવેલા સ્પામાં બે યુવતીઓના મોત મામલે સમગ્ર તપાસ આરંભાઈ હતી. જેમાં, આગ્નિકાંડની ઘટના બાદ પોલીસે જીમ અને સ્પાનો સર્વે શરૂ કર્યો હતો. ઉમરા, ખટોદરા, વેસુ સહિત વિસ્તારમાં પોલીસના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
અગ્નિકાંડ મામલે સુરત પોલીસ કમિશનરની સુચના અન્વયે સર્વે તપાસ શરૂ કરી હતી. આ સર્વેમાં જાણવા મળ્યું કે, ૪૬ જીમ અને સ્પાના સર્વેમાં ૩૧ પાસે ફાયર એનઓસી જ નથી. શહેરમાં ફાયર એનઓસી વિના જ જીમ ધમધમી રહ્યાં છે. સ્પા અને કોચિંગ ક્લાસિસ સામે આગામી દિવસોમાં પોલીસ એક્શન લેશે તેમ જાણવા મળેલ છે. ફાયર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવવાની સંભાવના છે. સુરતના ઉમરા, ખટોદરા, વેસુ, અલથાણ, પાંડેસરા, અઠવા વિસ્તારમાં સર્વે કરાયો હતો. સુરત પોલીસના સર્વેમાં ચોકાવનારી બાબતો સામે આવી હતી.
સુરત શહેરમાં એક મહિના અગાઉ સિટીલાઈટ વિસ્તારમાં અમૃતયા સ્પામાં મોડીરાત્રે આગ લાગતા બે યુવતીઓના મોત થયાનું સામે આવ્યું છે. આગ જીમ સુધી પહોંચી જતા જીમ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનામાં અન્ય ૩ યુવતીઓનો બચાવ થયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સુરતમાં શિવપૂજા અભિષેક નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં એકાએક આગની ઘટના બનવા પામી હતી. જેમાં કામ કરતી બે યુવતીનું ગૂંગળામણના કારણે મોત થયું હતું. સ્પામાં કામ કરતી મનીષા અને અનિશા નામની બે યુવતીઓના મોત નિપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંને યુવતીઓના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મૃતક યુવતીઓ નોર્થ ઇસ્ટની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.