Surat,તા,25
સુરતના લિંબાયત વિસ્તારમાં ઈશ્વર નગરની શાળામાં ચાલતી કોલેજને ભાઠેના ખાતે શિફ્ટ કરી દેવામાં આવી છે. જોકે, આ સરકારી કોલેજ માટે પાલિકાના શાળાઓના વિદ્યાર્થીઓની બેન્ચ ફાળવી દેવાના ઓર્ડર બાદ બેન્ચ લઈ જવાતા મોટો વિવાદ ઉભો થયો છે. સમિતિના વિદ્યાથીઓના ભોગે ફાળવી દેવાતા વિદ્યાર્થીઓને આ વરસાદમાં જમીન પર બેસવું પડતું હોવાથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓ માટેની બેન્ચીસ વિદ્યાર્થીઓને જ ફાળવી દેવા માટેની પ્રબળ માંગણી થઈ રહી છે.
સુરતની પ્રજા લાંબા સમયથી સરકારી કોલેજની માંગણી પુરી કરવા માટે સરકારે મોટા ઉપાડે લિંબાયતમાં સરકારી કોલેજની જાહેરાત કરી હતી. જોકે, સરકારે જગ્યાની ફાળવણી કરી ન હોવાથી ભાજપ શાસકોએ સુરતના ભાવિ એવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ભોગે લિંબાયત ઈશ્વર નગરના એક કેમ્પસમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે શાળામાં કોલેજ માટે એક બે નહી પરંતુ 15 ઓરડા ફાળવી દીધા હતા
.
આ ઓરડા આપવાનો નિર્ણય શાસકોનો છે અને તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને ભારે મુશ્કેલી પડી હતી. ફરિયાદ છે પણ નેતાઓના આદેશથી શાળાના વર્ગખંડ આપવામાં આવ્યા હોય શિક્ષકો પણ લાચાર બની ગયાં છે. કોલેજના ભોગે હવે પ્રાથમિક શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓ ને જગ્યા ઘટી ગઈ હતી અને એક વર્ગમાં એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોય શિક્ષણ આપવામાં પણ મુશ્કેલી પડતી હતી. વાલીઓ અને શિક્ષકો ફરિયાદ બાદ હાલમા આ કોલેજ માટે ભાઠેમાં જગ્યા ફાળવી દીધી છે પરંતુ હજી પણ ગરીબ વિદ્યાર્થીઓના ભોગે સરકારી કોલેજને સુવિધા આપવા માટેના ધખારા યથાવત જોવા મળી રહ્યાં છે.
શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ ઈશ્વર નગર અને અન્ય શાળામાં શાળા ક્રમાંક 47, 66, 140, 146, 246, 247 મળીને કુલ 370 બેન્ચ કોલેજને ફાળવવા માટે 19 જુનના રોજ આદેશ કરવામાં આવ્યો હતો. આ પત્રના બીજા જ દિવસે 20 જૂનના રોજ ગરીબ બાળકોનો વિચાર કર્યા વિના જ બેન્ચ કોલેજમાં શિફ્ટ કરી દેવામા આવી છે. આ નિર્ણય સામે વાલીઓમાં ભારે આક્રોશ છે. આ વિસ્તારના સમાજ સેવક રૂપેશ દેશમુખ કહે છે, પ્રાથમિક બાળકોનો હક્ક છીનવી કોલેજના બાળકોને અનઅધિકૃત રીતે આપવામાં આવેલ છે જે યોગ્ય નથી.
આ નિર્ણયના કારણે બેન્ચ પર બેસતા ગરીબ બાળકો હવે જમીન પર બેસી અભ્યાસ કરી રહ્યાં છે જે ઘણી જ દુઃખની વાત છે. આ બેન્ચ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સમિતિના વિદ્યાર્થીઓ માટે આવી હતી તો કોલેજને શા માટે ફાળવી દેવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી જોકે, કોલેજ સરકારી હોય સરકારે આ વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરવાની હોય છે તેના બદલે સમિતિના વિદ્યાર્થીઓનો હક્ક છીનવીને કોલેજના વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં આવે છે જે યોગ્ય નથી. તાકીદે ગરીબ વિદ્યાર્થીઓને બેન્ચ આપવામા આવે અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સરકાર બેન્ચની વ્યવસ્થા કરે તેવી માંગણી વાલીઓ કરી રહ્યાં છે.