Surendranagar તા.14
એક સમય હતો જયારે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પાણી માટે તરસતી પ્રજા કિલોમીટરો સુધી રઝળપાટ કરતી. સુકાભઠ્ઠ ભૂમિ અને અપર્યાપ્ત વરસાદને કારણે પાણીની સમસ્યા સૌરાષ્ટ્ર માટે કાયમી બની ગઈ હતી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ પાણીની આ તંગી ઇતિહાસ બની ગઈ છે. ગુજરાત આજે નર્મદાના નીરથી હરિયાળું બનીને દેશને વોટર મેનેજમેન્ટ નો આદર્શ મોડલ આપી રહ્યું છે.
સૌરાષ્ટ્રના મધ્યમાં આવેલો સુરેન્દ્રનગર જિલ્લો એક સમય ખેતીના ક્ષેત્રે પછાત ગણાતો હતો. વરસાદ સહેજ ખેંચાય તો દુષ્કાળ ઘેરાતો અને કૃષિ સાથે જીવન નિર્વાહ પણ મુશ્કેલ બની જતો. પરંતુ વર્ષ 2007માં ઢાંકી ગામે સ્થાપિત એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આ ધરતી માટે આશીર્વાદ સાબિત થયું.
20 માર્ચ, 2007ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થયું હતું. આ ઢાંકી પમ્પિંગ સ્ટેશન હવે “સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના (સૌની યોજના)”નું હૃદય બની ગયું છે.
આ સ્ટેશન પરથી નર્મદાના નીર 24 માળ જેટલી ઊંચાઈ (અંદાજિત 71 મીટર) સુધી લિફ્ટ કરી ધોળીધજા ડેમ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી આખા સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીનો પુરવઠો થાય છે. અહીંયા સ્થાપિત વિશાળ ક્ષમતાના પંપ એક સેક્નડમાં 20,000 લિટર પાણી વહન કરી શકે છે – એ પોતે એન્જિનિયરિંગ કૌશલ્યનો અદભૂત ઉદાહરણ છે.
ગુજરાત રાજ્યમાં નર્મદા કેનાલ નેટવર્કનું વિશાળ માળખું વિકસાવાયું છે, જે આજે 74,626 કિ.મી. સુધી વિસ્તરેલું છે. આ નેટવર્કમાં 458 કિ.મી.ની મુખ્ય નહેર તથા 38 શાખા નહેરોનો સમાવેશ થાય છે. તેના માધ્યમથી 131 નગરો અને 9,600થી વધુ ગામોને પીવાનું પાણી તેમજ 18 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્ર માટે સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર શાખા નહેર કડી, મહેસાણાથી શરૂ થઈને સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો-2 ધોળીધજા ડેમ સુધી 104.46 કિ.મી. સુધી ફેલાયેલી છે.
આ નહેર દ્વારા GWSSB, GWIL, નગરપાલિકા તથા સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવે છે.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા માટે ધોળીધજા ડેમ મારફતે 40 MLD પાણી, તેમજ GWIL ને 550 ખકઉ અને 1050 MLD જેવા મોટા જથ્થા ફાળવવામાં આવ્યા છે.
ઢાંકી પમ્પિંગ સ્ટેશન – એશિયાનું સૌથી મોટું પાણીનું ધબકતું હૃદય
ઢાંકી પમ્પિંગ સ્ટેશન સૌની યોજનાનું કેન્દ્રસ્થાન છે. અહીંથી પાણી સૌરાષ્ટ્ર અને કચ્છના અંતિમ છેડા સુધી પહોંચાડવામાં આવે છે. આ પમ્પિંગ સ્ટેશન દ્વારા નર્મદાનું પાણી લિફ્ટ કરીને મોડકુબા ગામ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ ધોરણે પાણીની ઉપલબ્ધતા વધતા ઝાલાવાડ જેવા સુકાભઠ્ઠ પ્રદેશમાં ભૂગર્ભ જળ સપાટી ઉંચી થઈ છે, કૃષિ ક્ષેત્રમાં નવો ઉછાળો આવ્યો છે અને ખેડૂતોના આવકના સ્ત્રોતોમાં વધારો થયો છે.
સૌની યોજના – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનું મૂર્ત સ્વરૂપ
વર્ષ 2012માં રાજકોટ ખાતે યોજાયેલા કિસાન વિકાસ સંમેલન દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની તરસ બુઝાવતી આ ઐતિહાસિક યોજના – સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના (સૌની યોજના) – જાહેર કરી હતી. આ યોજનાનું ધ્યેય નર્મદા નદીના વધારાના પાણીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રના 115 જળાશયોને ભરવાનું હતું. આજે આ યોજના વાસ્તવિકતામાં રૂપાંતરિત થઈ સૌરાષ્ટ્ર-કચ્છને સમૃદ્ધિ તરફ દોરી રહી છે.
વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌની યોજનાની પથરેખાથી ત્રણ કિમી સુધીના વિસ્તારના વંચિત ગામોને પણ યોજનામાં જોડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે હજારો ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ બન્યું છે.
સૌરાષ્ટ્ર શાખા નહેર – વિકાસની રગોમાં વહેતી નદી
સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી અનેક મહત્વપૂર્ણ શાખાઓ વહે છે, જેમ કે –
વલ્લભીપુર શાખા નહેરઃ લંબાઈ 118.98 કિ.મી., પિયત વિસ્તાર 1,37,528 હે.
લીંબડી શાખા નહેરઃ લંબાઈ 118 કિ.મી., પિયત વિસ્તાર 1,09,648 હે.
બોટાદ શાખા નહેરઃ લંબાઈ 109.93 કિ.મી., પિયત વિસ્તાર 65,465 હે.
માળીયા શાખા નહેરઃ લંબાઈ 137.93 કિ.મી., પિયત વિસ્તાર 41,561 હે.
ધ્રાંગધ્રા શાખા નહેરઃ લંબાઈ 124 કિ.મી., પિયત વિસ્તાર 81,502 હે.
મોરબી શાખા નહેરઃ લંબાઈ 119.17 કિ.મી., પિયત વિસ્તાર 61,757 હે.
આ છ શાખાઓનો કુલ પિયત વિસ્તાર 4,97,462 હેક્ટર છે, જે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી અને અમદાવાદ જિલ્લાઓને લાભ આપે છે.