Surendranagar, તા. 18
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ (રાણપુર) ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ નવયુગલોને મુખ્યમંત્રીશ્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ – કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના બીજા દિવસે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ પછી તેઓ મહોત્સવના સભામંડપમાં પધાર્યા હતા.
પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનું ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુરુકુળની એ જ પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો – ગુરુકુળ થકી જળવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસથી વિરાસતના તેમના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ ધર્મ – સંપ્રદાયના ગુરુકુળો જ્ઞાન સિંચનના સબળ માધ્યમ બન્યા છે. શ્રીજી વિદ્યાધામ, સ્વામિનારાયણ ગુરુકુળ – કરમડના પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કરાયેલા વિવિધ આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજીએ જણાવ્યું હતું કે, બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નિ:શુલ્ક રહી શકે તેવા અદ્યતન નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું સરળ અને પ્રજાવત્સલ એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હંમેશા કાર્યરત રહે છે. લોક કલ્યાણ માટે અનેક મહત્વના નિર્ણયો તેમની સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.
આ મહોત્સવના આયોજક શ્રીજીસ્વરૂપ દાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરીને સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા. આ સાથે જણાવ્યું હતું કે, અમારા આ વિદ્યાધામની સ્થાપનામાં સરકારનો ખૂબ સાથ-સહકાર મળ્યો છે.