ગ્રાહકે જમા કરાવેલા નાણાંના બદલામાં નિલેશ ગઢડાએ શો રૂમમાંથી દાગીના મેળવી બારોબાર વેંચી માર્યા
Rajkot,તા.28
રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સનો સ્ટોર મેનેજર ૧૭ લાખના દાગીના ગ્રાહકને આપવાના બદલે બારોબાર વેંચી નાખી છેતરપીંડી આચરતાં નિલેશ ગઢડા નામના શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નં-૨૦ મીલપરા મેઇન રોડ રહેતાં ચેતનભાઇ રાજેશભાઈ જાદવ (ઉ.વ.૪૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ પ્રવીણ ગઢડા (રહે.હાલ જસરાજ નગર-૧, ઉમિયા ચોક 150 ફૂટ રીંગ રોડ, મૂળ ગાંધીધામ કચ્છ) નું નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સમાં લાયઝનીંગ ઓફીસર તરીકે નોકરી છે. તનિષ્ક જવેલર્સની ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ બ્રાન્ચમાં સ્ટોર મેનેજર તરીકે તનિષ્ક જવેલર્સ ગાંધીધામથી બદલી થઈ આવેલ નિલેશ પ્રવિણ ગઢડાની નિમણૂક કરવામા આવેલ હતી. તે નિલેશ રાજકોટ બ્રાન્ચમાં સ્ટોર મેનેજર તરીકે શો-રૂમમાં ખરીદ વેચાણ તથા નાણાકીય વ્યવહારની તમામ જવાબદારી સંભાળતો હતો.
ગઇ તા.૦૪ ના શો-રૂમ પર જુના ગ્રાહક મિલન જીતેન્દ્રભાઈ પોટા આવેલ અને તેણે જણાવેલ કે, તેઓએ ગઇ તા.૧૦/૦૧/૨૦૨૫ ના ત્રણ લાખ રૂપીયા ઓનલાઇન તેમજ તા.૧૯/૦૩ ના રૂ. ૧૪ લાખની સોના અને ડાયમંડની રીંગ મળી ઓનલાઇન રકમ તથા ઘરેણા સહીત કુલ રૂ.૧૭ લાખ સ્ટોર મેનેજર નિલેશ ગઢડાને આપી તનિષ્ક જવેલર્સના ખાતામાં જમા કરાવેલ હતા. તેણે આ નિલેશભાઈને જણાવેલ કે, રૂ.૧૭ લાખમાંથી અલગ અલગ સોનાના ઘરેણા લેવા છે, તેમ વાત કરેલ હતી અને બાદ નિલેશે ગ્રાહક મિલન પોટા પાસેથી મેળવેલ ઓનલાઇન રકમ તથા ઘરેણાના બદલામાં ગ્રાહકને આપવાના થતા રૂ.૧૭ લાખના અલગ અલગ ઘરેણા પોતાના પાસે રાખી ઓળવી જઈ બારોબાર વેચી નાખેલ હતાં. જે ઘરેણા ગ્રાહક મિલનભાઈ પોટાને આપવાના થતા હોય તે નહી આપેલનું જાણવા મળેલ હતુ.
જેથી ફરીયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. નિલેશએ તનિષ્ક જવેલર્સના ગ્રાહકને આપવાના થતા ઘરેણા ગ્રાહક મિલનભાઇ પોટાને આપેલ ન હોય કે તનિષ્ક શો રૂમમાં પણ જમા કરાવેલ ન હોય અને પોતે ઓળવી જતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ બી.વી.સરવૈયા અને ટીમે તપાસ આદરી આરોપીની શોધખોળ આદરી હતી.