Vadodara,તા.21
વડોદરા નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપીઓ સહિત પાંચને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના ડિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ રિમાન્ડ દરમિયાન આજે વહેલી સવારે બાબરખાન પઠાણને સાથે રાખી સયાજી હોસ્પિટલમાં સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ મળી આવતા જપ્ત કર્યું હતું.
વડોદરા શહેરના નાગરવાડા મહેતા વાડીમાં જુગાર રમવા બાબતે થયેલા ઝઘડા બાદ સરકારી સ્કૂલ પાસે આમલેટ ની લારી પર રૂપિયા પરત લેવા ગયેલા વિક્રમ અને ભયલું પર માથાભારે શખ્સ એવા બાબર હબીબખાન પઠાણે ચાકુથી હુમલો કર્યો હતો. વધારે ઘા મારવાનો પ્રયાસ કરતા યુવક પોતાની જાન બચાવવા માટે પોતાના વિસ્તારમાં ભાગ્યો હતો અને તેના મિત્રો વચ્ચે મળી જતા તેમને તમામ હકીકત જણાવી હતી. દરમિયાન તેની પાછળ બાબરખાન પઠાણ સહિતના હુમલાખોરો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને બે કોમ વચ્ચે સામસામે મારામારી તથા પથ્થરમારો થયો હતો. જેમાં અન્ય એક યુવક પણ ઘવાયો હતો. જેથી બંને મિત્રોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જ્યાં પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમાર તેમને જોવા માટે ગયો હતો ત્યારે ત્યાં બાબરખાન પઠાણને પણ પોલીસ સારવાર માટે લાવી હતી. પરંતુ પોલીસે તેના પર નજર નહીં રાખતા બાબરખાન પઠાણ ઇમર્જન્સીમાંથી બહાર નીકળી ગયો હતો અને કેન્ટીન પાસે ઊભેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પર ઉપરાછાપરી ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતો. જેમાં સ્થાનિક પોલીસ સહિત પીસીબી ડીસીબી એસઓજીની ટીમ આરોપીઓને પકડવા કામે લાગી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
બે દિવસ અગાઉ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે વહેલી સવારે પોલીસે મુખ્ય આરોપી બાબરખાન પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની હાજરીમાં બાબરખાન પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમાર પર ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાબરખાન પઠાણે ચાકુ સયાજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ ફેંકી દીધું હતું તે ચાકુની પણ શોધખોળ કરતા પોલીસને તે ચાકુ મળી આવ્યું હતું અને તે જપ્ત કર્યું હતું. પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર નું ખૂન થયું તેમ છતાં આજે આરોપીને સાથે રાખીને પોલીસે બનાવનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યારે ખૂન સમયે જાપ્તામાં જે પોલીસ કર્મચારી હાજર હતા તેઓને સાથે રાખવામાં આવ્યા નહીં તેથી ચર્ચાનો વિષય બન્યો છે.