Jamnagar,તા ૧૯,
જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ -૨ અને -૩ વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ કરવા માટેની કામગીરી આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી, અને ૨૦ આસામિઓ પાસેથી વધુ ૧ કરોડની વસુલાત થઈ છે. ત્રણ દિવસ દરમિયાન કુલ ૪ કરોડ ૧૦ લાખની વસૂલાત કરી લેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ ના અધિકારી જીગ્નેશ નિર્મળ ની રાહબરી હેઠળ પોલીસ તંત્રને સાથે રાખીને દરેડ જીઆઇડીસી ના ફેસ-૨ વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ અવિરત સર્વે કરવામાં આવ્યો હતો, અને પ્રત્યેક કારખાનાઓ માં સંપર્ક કરીને વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ સુધીમાં ૮ આસામીઓ ટેક્સ ભરપાઈ કર્યો હતો, જયારે બાકીના ૧૨ આસામીઓ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ઓનલાઇન બાકી વેરો ભરપાઈ કરી ગયા હતા, અને અંદાજે આમ કુલ ત્રણ દિવસ દરમિયાન ચાર કરોડ દસ લાખ જેવી રકમ મહા નગરપાલિકામાં જમા થઈ છે.
ઉદ્યોગકારોની જિલ્લા કલેકટર અને કમિશનર સમક્ષની રજૂઆત બાદ એક દિવસનો ટાઈમ અપાયો જામનગર ના દરેડ જીઆઇડીસી ફેઈઝ-૨ અને -૩ વિસ્તારના કેટલાક ઉદ્યોગકારો કે જેઓએ આ કામગીરી નો વિરોધ કર્યો હતો, અને જિલ્લા કલેકટર સમક્ષ ગઈકાલે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, ત્યારબાદ આજે પણ જીઆઇડીસી ની કચેરીએ કેટલાક ઉદ્યોગકારો ટોળાના સ્વરૂપે એકત્ર થયા હતા, અને સીલીંગ સહિતની કામગીરી નો વિરોધ કર્યો હતો, ત્યારે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અને ભારે ગરમા ગરમી થઇ હતી.
જોકે આ બાબતે ઉદ્યોગકારો અને મ્યુનિ. કમિશનર સાથે વાટાઘાટો કરવા માટેનો એક દિવસ માટેનો સમય અપાયો છે. ઉદ્યોગકારો સાથે વ્યાજ માફી તેમજ હપ્તા કરી આપવા સહિતના મુદ્દે ચર્ચા કરવા માટેની એક તક અપાઈ છે, અને આવતીકાલે ચર્ચા કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ ના અધિકારી જીગ્નેશ નિર્મળ દ્વારા જણાવાયું છે.