ગુજરાત સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના ૯૫% હાંસલ કર્યા છે
Ahmedabad, તા.૫
ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો આ વર્ષે ટીબીના ૮૭૩૯૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ ૩૫૮ નવા કેસ નોંધાય છે. આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૪.૭૬ લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૧.૪૩ લાખ સાથે બીજા, બિહાર ૧.૩૮ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં ટીબીના ૧.૩૭ લાખ જ્યારે આ વર્ષે ૯ મહિનામાં ૮૭૩૯૭ કેસ નોંધાયા છે. આમ, બે વર્ષમાં બે લાખથી વધુ લોકો ટીબીની ઝપેટમાં આવેલા છે. ગુજરાતમાં ટીબીના સૌથી વધુ કેસને મામલે અમદાવાદ ૧૨૮૨૭ સાથે મોખરે છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં ૨૪૬૬ જ્યારે અમદાવાદ શહેરમાં ૧૦૩૬૧ કેસનો સમાવેશ થાય છે.ગુજરાત સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના ૯૫% હાંસલ કર્યા છે, જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર ૯૧% નોંધાયો છે. ગુજરાતને ૨૦૨૪માં ૧,૪૫,૦૦૦ ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે ૧,૩૭,૯૨૯ ટીબી દદીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરવામાં આવી હતી. આ સાથે જ ૧,૨૪,૫૮૧ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી, જેથી સારવાર પૂર્ણ થવાનો દર ૯૦.૫૨% નોંધાયો હતો.ટીબી મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. તે શરીરના અન્ય વિવિધ ભાગોને પણ અસર કરી શકે છે, જેને પછી એક્સટ્રાપલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે.