Jamnagar,તા.૧૭
જામનગરની ભાગોળે નાઘેડી પાસે લહેર તળાવ નજીક ઝુંપડામાં રહેતા એક માલધારી યુવાનની મોડીરાત્રે માથાના ભાગે ધારદાર હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી લાશને ખાટલામાં બાંધી સળગાવી દેવાયાનો બનાવ બહાર આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરની ભાગોળે નાઘેડી નજીક લહેર તળાવ પાસે ઝૂંપડુ બાંધી રહેતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુરભાઇ સુમાત(ઉ.વ. 36) નામના યુવાનનો શુક્રવારે સવારે ખાટલામાં સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાનો બનાવ બહાર આવ્યો છે.બનાવની જાણ થતા પંચકોશી બી ડિવિઝનના પીએસઆઇ સી.એમ. કાંટેલિયા સહિતની ટીમ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.
પોલીસે સળગેલી હાલતમાં સાંપડેલા મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.આ બનાવ મામલે મૃતકના ભાઇ પુનાભાઇની ફરીયાદ પરથી પંચકોશી બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.મૃતક યુવાન તેના પત્ની અને છ વર્ષની પુત્રી સાથે રહેતો હતો જેનો સવારે ઝુંપડા બહાર ખાટલા અંદર જ મહદઅંશે સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.મૃતક યુવાનનુ નાકથી કપાળ અને માથાના ભાગે કોઇ હથિયારના જોરદાર ઘા ઝીંકી કાસળ કાઢી ખાટલામાં જ સગળાવી પુરાવા પણ નાશ કરવા મામલે અજ્ઞાત શખસો સામે ગુનો નોંધાયો છે.
જુદી જુદી ત્રણથી ચાર ટીમ દ્વારા તપાસનો ધમધમાટ મૃતક યુવાનની રાત્રી દરમિયાન માથાના ભાગે જોરદાર પ્રહાર કરી હત્યા નિપજાવી સળગાવી દેવાના બનાવમાં નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝનમાં એલસીબી ઉપરાંત સ્થાનિક પોલીસની જુદી જુદી ત્રણથી ચાર ટીમ બનાવી હત્યાનો ભેદ ઉકેલવા તેમજ હત્યાના કારણ સહિતનો તાગ મેળવવા માટે વિવિધ સોર્સિસના મદદથી તપાસનો ધમધમાટ હાથ ધરાયો હોવાનુ સામે આવ્યુ છે.