Amritsar તા.17
પંજાબમાં અમૃતસરના ઠાકુરદ્વારા મંદિર પર ગત સપ્તાહે થયેલા ગ્રેનેડ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીને પોલીસે ઠાર માર્યો છે અને વધુ એકની તપાસ ચાલુ છે. અમૃતસરમાં સુવર્ણમંદિરથી થોડે દુર આવેલા આ ઠાકુરદ્વારા મંદિર પર મધરાતે મોટરસાયકલ પર આવેલા બે લોકોએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
બંનેએ આ ગ્રેનેડ મંદિરના પ્રવેશદ્વાર પાસે ફેંકીને નાસી ગયા હતા. જેના વિસ્ફોટમાં મંદિરના મુખ્યદ્વાર અને દિવાલને નુકસાન થયું હતું પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. આ બાદ પંજાબ પોલીસે હુમલાખોરની ઓળખ મેળવવા સીસીટીવી ચકાસ્યા હતા અને તેમાંથી તેમનું પગેરુ મેળવીને એક હુમલાખોર ગુરસીદકનો પીછો કર્યો હતો.
48 કલાક બાદ આ આરોપીને ઘેરી લેવામાં આવ્યો હતો અને તેણે પોલીસ પર ગોળીબાર કરવાની કોશીશ કરી હતી પરંતુ વળતા ગોળીબારમાં ગુરસીદક માર્યો ગયો હતો જયારે તેનો સાથી નાસી છુટવામાં સફળ રહ્યો છે.
આ ઘટનામાં એસપી ગુરપ્રીતસિંહને ગોળીથી ઈજા થઈ હતી. હવે વધુ એક આરોપીની તલાશ છે. પંજાબમાં આ રીતે મંદિર પર હુમલાની પ્રથમ ઘટના બની હતી.