હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે
Jaipur તા.૨૨
રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી આવતા રાજ્યની કિસ્મત ચમકી ગઈ છે. આમ તો પોટાશનો માટાભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે. જોકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે. આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે. રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરુ અને નાગૌરમાં પોટાશની ખાણો મળી આવી છે. ભારતમાં અત્યાર સુધી ક્યાંય પણ પોટાશની ખાણ મળી નહોતી, જે કારણે આપણે કેનેડા, રશિયા અને તુર્કમેનિસ્તાનથી પોટાશ આયાત કરાવતા હતા. રિપોર્ટ અનુસાર, મળી આવેલી પાંચ ખાણમાં આશરે ૨,૪૭૬.૫૮ મિલિયન ટન પોટાશ છે. નોંધનીય છે કે, પોટાશ મુખ્યત્વે છોડના સ્વસ્થ વિકાસ અને પાકની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેનો ઉપયોગ કાચના ઉત્પાદન, સાબુ અને ડિટર્જન્ટ ઉત્પાદન અને પાણી શુદ્ધિકરણમાં પણ થાય છે. ભારત દર વર્ષે લગભગ પાંચ મિલિયન ટન પોટાશની આયાત કરે છે અને તે માટે લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચવામાં આવે છે. ભારત સરકાર મુખ્યત્વે કેનેડા, રશિયા, તુર્કમેનિસ્તાન સહિતના અન્ય દેશોમાંથી આયાત કરે છે. ૯૦ ટકાથી વધુ પોટાશ ખાતર તરીકે વપરાય છે.