Surat,તા.21
રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ ધોરણ ૧ માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આગામી ૨૮ મી એપ્રિલને સોમવારના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલા જે વિદ્યાર્થીઓની અરજીઓ રીજેકટ કરાઇ છે તેવા સુરત શહેરના ૧૯૧૯ વિદ્યાર્થીઓને ફરીથી પુખ્તા પુરાવા સાથે ઓનલાઇન અરજી કરવા માટે ત્રણ દિવસની તક આપવામાં આવી છે.રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ધોરણ ૧માં વિનામૂલ્યે પ્રવેશ માટે સુરત શહેરની ૯૯૪ સ્કુલોની ૧૫૨૨૯ બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રકિયા સંપન્ન થતા જ કુલ ૩૧૪૭૦ ઓનલાઇન ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૫૨૦૫ ફોર્મ કેન્સલ કરાયા હતા. અને ૧૯૧૯ ફોેર્મ રીજેકટ થયા બાદ ૨૪૩૪૬ ફોર્મ મંજુર કરાયા હતા. આ ફોર્મ મંજુર થયા બાદ જેમની ઓનલાઇન અરજીઓ ડોકયુમેન્ટ અપલોડ નહીં કરવાના કારણે કે પછી પુરાવાઓ રજુ નહીં કરવાના કારણે રીજેકટ કરી દેવાઇ હતી તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે એક તક આપી છે. જેમાં જે કારણોસર અરજી રીજેકટ કરાઇ છે તેના ડોકયુમેન્ટ અપલોડ કરીને આવતીકાલ સોમવારને તા.૨૧ થી ૨૩ એપ્રિલ સુધી ઓનલાઇન વેબ પોર્ટલ પર એપ્લીકેશન સબમીટ કરાવી શકશે. આ ત્રણ દિવસ જેમની અરજી રીજેકટ થઇ છે તેઓ ડોકયુમેન્ટ અપલોડ નહીં કરશે તો તેમની અરજીમાં કોઇ સુધારો કરવા માંગતા ના હોય તેમ માનીને અમાન્ય કરી દેવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ તા.૨૪ એપ્રિલ સુધી આવેલી અરજીઓ ચકાસણી કરી માન્ય કે અમાન્યનો નિર્ણય લેવાનો રહેશ. ત્યારબાદ ૨૮ મી એપ્રિલના રોજ આરટીઇનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.