Amreli,તા.21
અમરેલીના ધારીના મીઠાપુર ગામમાં વરરાજાની જાન નીકળે તેની એક સાંજ પહેલાં જ હત્યા કરી દેવાઈ છે. સમગ્ર હત્યાને લઈને પ્રેમ પ્રકરણ પણ સામે આવ્યું છે. યુવકના ભાવિ પત્નીના પ્રેમીએ પ્રેમના આવેગમાં આવીને પોતાની પ્રેમિકાના ભાવિ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અમરેલીના ધારીના મીઠાપુર ગામમાં વિશાલ મકવાણા નામના યુવકની લગ્નના એક દિવસ પહેલાં જ હત્યા કરી દેવામાં આવી છે. લગ્નની આગલી સાંજે વિશાલની ભાવિ પત્નીના પ્રેમી સોએબ સમા નામના વ્યક્તિએ તેને ગામની સીમમા બોલાવ્યો હતો. વિશાલ ત્યાં પહોંચ્યો બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી. નોંધનીય છે કે, આ પહેલાં પણ સોએબે વિશાલને આ પ્રકારની જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પરંતુ, વિશાલે તેને ગંભીરતાથી નહતી લીધી.
મૃતકના કાકા કનુભાઈ મકવાણાએ આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મારા દીકરાને માથે પાઇપના અને છરીના ઘા મારવામાં આવ્યા હતાં. આ સિવાય છાતીએ અને મોંઢે પણ ઘા મારવામાં આવ્યા હતાં. હું સરકાર પાસે ન્યાયની માંગ કરૂ છું, આરોપીને ફાંસી અથવા આજીવન કેદની સજા થવી જોઈએ.
સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો છે. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધવામાં આવી છે. હાલ, મીઠાપુર ગામમાં મૃતકના પરિવાર તેમજ તેની ભાવિ પત્નીના પરિવારમાં શોકનો માહોલ છે.