Washington તા.25
ટ્રમ્પ પ્રશાસનની ઈમિગ્રેશન કાર્યવાહી અંતર્ગત અમેરિકાથી છેલ્લા દિવસોમાં નિર્વાસિત કરવામાં આવેલ ડોકયુમેન્ટસ વગરના ભારતીય નાગરિકો સાથે થયેલ સખ્ત વ્યવહારોના બારામાં ભારતે અમેરિકાના અધિકારીઓને દ્રઢતાથી પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદને આ બારામાં જણાવ્યું હતું. મામલો 5 ફેબ્રુઆરીએ ઉતરેલા અમેરિકી સૈન્ય વિમાનનો છે, જેમાં નિર્વાસિતો, ખાસ કરીને મહિલાઓ પર બેડીઓના ઉપયોગના બારામાં ભારતે ચિંતા વ્યક્ત કરી છે.
બીજી બાજુ અમેરિકી પક્ષે ભારતીય વિદેશ મંત્રાલયને જણાવ્યું હતું કે, ત્રણ નિર્વાસન ઉડાનોમાં બંદીઓના માથેથી કોઈપણ ધાર્મિક આવરણ હટાવવાનો આદેશ નહોતો અપાયો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંદીઓને શાકાહારી ભોજનના અનુરોધ ઉતરાંત ઉડાનો દરમિયાન કોઈપણ ધાર્મિક સુવિધાનો અનુરોધ નહોતો કરાયો.
ભારતના રાજયમંત્રી કીર્તિવર્ધનસિંહે લોકસભામાં એક પ્રશ્નના ઉતરમાં લેખિતમાં આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી એસ.જયશંકરે આ પહેલા 6 ફેબ્રુઆરીએ રાજયસભામાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર એ નિશ્ચિત કરવા અમેરિકા સાથે વાતચીત કરી રહી છે કે નિર્વાસિત ભારતીયો સાથે દુર્વ્યવહાર ન થાય.