Jamnagar તા. ૧૯
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક ધાર્મિક સ્થળ પાસે ની હોટલ સંચાલક દ્વારા વધારા નું નડતરરૂપ બાંધકામ કરવામાં આવ્યું હતું જેને આજે મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. અહીં ગઈકાલે પણ મનપા ની ટીમે અમુક માલ-સામાન કબજે કર્યો હતો.
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીકના ગૌરીશંકર મહાદેવના મંદિર પાસે ની હોટલ ‘જ્યોત માલધારી’ ના સંચાલકો દ્વારા જાહેર રોડ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબતની ફરિયાદ જામનગર મહાનગરપાલિકાને મળી હતી. આથી ગઈકાલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ ત્યાં પહોંચી હતી અને જાહેર રોડ ઉપર ખડકી દેવામાં આવેલ કેટલોક માલ-સામાન કબજે કર્યો હતો. ઉપરાંત છાપરૂ, ઓટલા વિગેરે ના વધારા ના બાંધકામને દૂર કરી દેવા સૂચના આપી હતી.
આમ છતાં સ્વેચ્છાએ વધારાના દબાણ દૂર કરવામાં નહીં આવતા આજે સવારે ફરી વખત એસ્ટેટ શાખાની ટૂકડી ત્યાં પહોંચી હતી, અને જાહેર રોડ ઉપર કરાયેલ ઓટલા, છાપરૂ વિગેરે નું બાંધકામ દૂર કરાયું હતું. આ માટે મશીનરી અને સ્ટાફ ને કામે લગાવાયો હતો. આ ઉપરાંત આજુબાજુના અને સ્થાનિક વિસ્તાર ના અન્ય કેટલાક ધંધાર્થીઓ ને પણ એસ્ટેટ શાખા ના અધિકારીઓ એ જાહેર માર્ગ પર દબાણ નહીં કરવા સૂચના આપી હતી. અન્યથા માલ-સામાન જપ્તીની ચીમકી પણ આપી હતી.