Mumbai,તા.૧૮
આ વર્ષે, જન્માષ્ટમી, કાન્હાના પૃથ્વી પર ઉતરવાની રાત, ૨૬ ઓગસ્ટના રોજ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગયા વર્ષે આ અવસર પર શાહરૂખ ખાનની ફિલ્મ ’જવાન’ રીલિઝ થઈ હતી અને લોકોએ જેલમાં જન્મેલા હીરોની આ વાર્તાને સ્વીકારી હતી. હવે દેશની સાંસ્કૃતિક ધરોહરના સૌથી મોટા સુપરહીરો અને જેલમાં જન્મેલા કાન્હાની કહાનીનું મુંબઈમાં મંચન થવા જઈ રહ્યું છે. ધનરાજ નથવાણી દ્વારા રચિત સંગીતમય કૃષ્ણલીલા ’રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’ ૧૫મી ઓગસ્ટથી ૧લી સપ્ટેમ્બર દરમિયાન મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે મંચાવવા જઈ રહી છે.
ભવ્ય રીતે તૈયાર થઈ રહેલા બે કલાકના આ શોની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હજારો લોકો આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓમાં અત્યારથી જ વ્યસ્ત છે. ગીતકાર અને લેખક પ્રસૂન જોશીએ શોને રોમેન્ટિક બનાવવાની જવાબદારી લીધી છે. ’રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’માં ભગવાન કૃષ્ણની બાળપણની રમતોથી શરૂ થયેલી યાત્રા પ્રથમ તબક્કામાં બ્રજથી મેવાડ સુધી આવશે અને બીજા તબક્કામાં આ યાત્રા મથુરાથી દ્વારકા સુધી પહોંચશે.
ડિઝનીની વાર્તા ’બ્યુટી એન્ડ ધ બીસ્ટ’ના ભવ્ય મ્યુઝિકલ થિયેટર પ્રેઝન્ટેશનનું દિગ્દર્શન કરનાર શ્રુતિ શર્માને ’રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’ના નિર્દેશનની જવાબદારી મળી છે. આ સમગ્ર સ્ટેજીંગમાં લગભગ ૬૦ ડાન્સર્સ અને ૪૦ એક્ટિંગ માસ્ટર્સ ભાગ લેશે. આ સ્ટેજ પ્રેઝન્ટેશનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં શ્રી કૃષ્ણની બે અલગ-અલગ યાત્રાઓ પહેલીવાર એકસાથે બતાવવામાં આવશે. પ્રથમ યાત્રા શ્રીનાથજીની છે અને બીજી યાત્રા રાજાધિરાજ દ્વારકાધીશ બનવાની છે.
મળતી માહિતી મુજબ આ સમગ્ર થિયેટર પ્રેઝન્ટેશન માટે ૨૦ મૂળ ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. આને કંપોઝ કરવાની જવાબદારી મ્યુઝિક કમ્પોઝર જોડી સચિન-જીગરને આપવામાં આવી છે. આ ગીતોમાં હવેલી સંગીતથી માંડીને રાજસ્થાની અને ગુજરાતી લોકનૃત્યો અને અન્ય પરંપરાગત શૈલીઓને સ્થાન મળ્યું છે. પ્રખ્યાત પ્રોડક્શન ડિઝાઇનર ઉમંગ કુમારે તેના દ્વાપર યુગ શૈલીના સેટ ડિઝાઇન કર્યા છે. સમગ્ર પ્રસ્તુતિ માટે અંદાજે અઢી હજાર જેટલા વેશભૂષા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને કલાકારોના માથાને સજાવવા માટે પાંચ હજાર જેટલા ફૂલ મુગટ બનાવવામાં આવી રહ્યા છે.