Jamnagar તા ૨૪
જામનગરમાં વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર ૧૯ ના રૂમ નંબર ૨૪ માં રહેતા એક ઢોલી ના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરમાં વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર ૧૯ ના રૂમ નંબર ૨૪ માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના ૬૨ વર્ષના વાલ્મિકી બુઝુર્ગ કે જેઓ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, અને પોતાના પત્ની ને તેણીના કુટુંબી ને ઘેર મૂકી આવ્યા હતા.
દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. અને રૂપિયા ૨૦,૦૦૦ ની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા ૧,૦૨,૬૦૦ ની માલમત્તા ઉઠાવી ગયા હતા.જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસ ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને તે જ આવાસમાં રહેતા અલી રજાકભાઈ ભગાડ અને તેના સાથીદાર અશોક અમૃતલાલ વડગામાની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી ૧૦,૫૦૦ ની રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા ૫૭,૭૦૦ ની માલમતા કબજે કરી છે. ઉપરાંત અન્ય માલ મત્તા સંબંધે વધુ પૂછપરછ હાથ ધરી છે.