Rajkot,તા.22
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે 22 સપ્ટેમ્બરના રોજ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના આગેવાનીમાં કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
પ્રથમ નોરતે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો. સાથે જ પદયાત્રા પૂર્ણ થયે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. કાગવડ ગામે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મા ખોડલની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામથી 9 વાગ્યે પદયાત્રાની શરૂઆત થઈ હતી.
પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા. આ ધર્મ સભામાં ખોડલધામ જિલ્લા સમિતિ- અમરેલી દ્વારા નરેશભાઈ પટેલને પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા. સાથે જ આ પ્રસંગે ઉપસ્થિત સર્વે રાજકીય-સામાજિક આગેવાનોનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સન્માન કરાયું હતું.
ધર્મસભામાં નરેશભાઈ પટેલે એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 જાન્યુઆરી 2027ના રોજ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી 2027ના રોજ શ્રી ખોડલધામ મંદિરે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં 1008 કુંડી યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.
આ પ્રસંગે જેનીબેન ઠુંમરે ધારાસભ્ય ગોપાલ ઈટાળિયા, મહેશભાઈ કશવાલા, રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતાં. નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને શણગારી દેવામાં આવ્યું છે.