Ahmedabad ,તા.29
અમદાવાદ હાઈકોર્ટ બાદ હવે એરપોર્ટને મળેલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફરી એક વખત એરપોર્ટમાં એલર્ટ જાહેર કરીને ખુણેખુણો તપાસાયો હતો. એરપોર્ટના ઈ-મેલ-આઈડી પર આ મેલ આવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ઈન લાઇન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા રવિકાન્ત ભારદ્વાજે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે મોબાઈલ પર સિક્યોરિટી મેનેજર શૈલેષ કુરિલનો ફોન આવ્યો હતો.
ફોન પર શૈલેષ કુરિલે જણાવ્યું હતું કે એરપોર્ટના ઇ-મેલ આઇડી પર એક બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ આવ્યો છે. EVILTERRORIZER111GMAIL.COM પરથી ઇ-મેલ આવ્યો હતો.
`હું શેતાનનું સંતાન છું, મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે’ ઇ-મેલમાં લખવામાં આવ્યું હતું કે એરપોર્ટના બિલ્ડિંગમાં બોમ્બ છે, તમારી પાસે 24 કલાક છે આ લોહિયાળ ખેલને રોકવા માટે. હું આંતકી ગ્રુપનો લીડર છું. આ દુનિયામાં મને કોઈ પકડી શકતું નથી. હું શેતાનનું સંતાન છું. મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે, તમારી પાસે 24 કલાક છે. લોહિયાળ ખેલનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. ઇ-મેલ મળતાંની સાથે જ એરપોર્ટ ઓથોરિટી એલર્ટ મોડ પર આવી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ તરત જ પોલીસને પણ જાણ કરી છે.
બોમ્બ થ્રેટનો મેસેજ મળતાં ઓથોરિટીએ ફરિયાદ નોંધાવી એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાંની સાથે જ બોમ્બ-સ્ક્વોડ, ડોગ-સ્ક્વોડ તેમજ એરપોર્ટ પર તહેનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ સહિતના જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું.
એરપોર્ટ પર તમામ ફ્લાઈટ, એક-એક ખૂણાનું ચેકિંગ સિક્યોરિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય પેસેન્જરોનું પણ ચેકિંગ કરાયું હતું. આખો દિવસ એરપોર્ટમાં સર્ચ-ઓપરેશન ચાલ્યું, પણ કંઈ મળ્યું નહોતું.