Gandhinagar, તા.27
વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે શરૂ થયેલી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસરૂપે પ્રસ્થાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે.
આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની `વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા. આ શિબિરમાં ર41 ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા છે.
સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ ની થીમ સાથે `વિકસિત ભારત – વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે વિચારોનું શેરિંગ કરાશે. આ વિચારવિમર્શ આવનારા સમયમાં ગુજરાતના વિકાસ, લોકાભિમુખ વહીવટ અને જનકલ્યાણની દિશામાં ખૂબ ઉપયોગી બની રહેશે.

