Delhi,તા.10
દિલ્હીના દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો. જે બાદ સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા.
અહેવાલો અનુસાર, મંગળવારે (10મી જૂન) સવારે 10 વાગ્યે દિલ્હી ફાયર વિભાગને દ્વારકા સેક્ટર 13ની બિલ્ડિંગમાં આગની સૂચના મળી હતી. જે બાદ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ફ્લેટમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. જો કે, બિલ્ડિંગના આઠમ માળે એક પિતા અને તેમના બે બાળકો ફસાઈ ગયા હતા. આગથી બચવા માટે ભાઈ-બહેને બાલ્કનીમાંથી કૂદકો મારી દીધો. બાળકોને કૂદતા જોઈ પિતા યશ યાદવે પણ પડતું મૂક્યું. ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અને તેમને સારવાર માટે IGI હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ડોકટરે ત્રણેયને મૃત જાહેર કર્યા. યશ યાદવના પત્ની અને તેમના મોટા પુત્રને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. જો કે ઈજાગ્રસ્ત હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.