Rajkot, તા. રપ
અનેક વખત ચર્ચામાં આવતી મનપાની સીટી બસ સેવાનું ચેકીંગ ફરી શરૂ કરાયું છે. ગઇકાલે ટીકીટ આપવામાં ગોલમાલ કરતા ચાર મુસાફરને કોર્પો.એ સસ્પેન્ડ કરી દીધા છે.
મહાનગરપાલિકાની હસ્તાંતરિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસનું સંચાલન કરવામાં આવે છે. હાલ સી.એન.જી. અને ઇલેક્ટ્રિક બસ દ્વારા શહેરી પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે. કમિશનર તુષાર સુમેરાની સુચના અને ડે. કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ કંપની દ્વારા ગઇકાલે બસ ચેકીંગ માટેની ડ્રાઈવ કરવામાં આવી હતી.
જેમાં ટીકીટ આપવાની કામગીરીમાં અનિયમિતતા સબબ પકડાયેલ કુલ ચાર કંડકટરોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે તથા ટીકીટ વગર મુસાફરી કરતા બે મુસાફર પાસેથી પેનલ્ટીની વસુલાત કરવામાં આવેલ છે. સીટી બસ કંપનીના જણાવ્યા મુજબ, બસમાં ટિકીટ લેવી તે મુસાફરીની પ્રાથમિક જવાબદારી છે અને વગર ટિકીટ મુસાફરી કરતા પકડાયેથી તેની સામે દંડનિય કાર્યવાહી થઈ શકે છે.
આ ઉપરાંત ટિકીટ આપવા અંગે કંડકટર દ્વારા કોઈ પણ પ્રકારની અનિયમીતતા ધ્યાને આવે તો મુસાફરો કોલ સેન્ટર નંબર 155304 પર ફરીયાદ કરી શકે છે. આ બન્ને બસ સેવાને વધુને વધુ લોકાભિમુખ બનાવવા તથા જાહેર પરિવહન સેવાનો વધુને વધુ ઉપયોગ કરી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાને હલ કરવા મદદરૂપ થવા શહેરીજનોને મહાપાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે.