Athens,તા.10
વિદેશી સહેલાણીઓ કોઇ પણ દેશમાં આવે ત્યારે હુંડિયામણનો ફાયદો થતો હોય છે. પ્રવાસ અને પર્યટનનો વિકાસ થાય તે માટે દરેક દેશ લાલ જાજમ પાથરતો હોય છે પરંતુ યુરોપનો ગ્રીસ દેશ વધુ પડતા પ્રવાસીઓના ભારણથી કંટાળી ગયો છે.
ખાસ કરીને કોવિડ મહામારી પછી પર્યટકોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. ક્રુઝ પ્રવાસીઓના ધાડેધાડા દેશમાં ઉતરવા લાગ્યા છે. પ્રવાસીઓ ઓછી સંખ્યામાં આવે તે માટે પગલા ભરવામાં આવી રહયા છે.ગ્રીસ સરકારે ઓવર ટૂરિઝમની નકારાત્મક અસરથી ચેતી ગઇ છે. સરકાર હવે ટુરિસ્ટ પર જળવાયું પરિવર્તનને લગતો ટેકસ વસૂલવા માંગે છે.
કેટલાક ટાપુઓ તો એવા પણ છે જયાં ૨૦૨૫ પછી ક્રુઝ જહાજ આવવા પર ક્રમશ પ્રતિબંધનું વિચારવામાં આવ્યું છે. સેંટોરિની અને માઇકોનોસ જેવા ટાપુઓ પર એન્ટ્રી ટેકસ વધારવામાં આવશે. બેંક ઓફ ગ્રીસના નવા આંકડા અનુસાર ગ્રીસમાં ૨૦૨૩માં ૩.૬૧ કરોડ પ્રવાસીઓ આવ્યા હતા જેમાં વર્તમાન વર્ષ ૨૦૨૪માં ૧૬ ટકાનો વધારો થયો છે.
ગ્રીસ માટે પર્યટનની આવક ખૂબજ મહત્વની છે જે કુલ જીડીપીના ૨૦ ટકા જેટલી છે પરંતુ ઓવર ટૂરિઝમથી સ્થાનિક લોકો ત્રાસી ગયા છે પોતાનું નોર્મલ જીવન જીવી શકતા નથી.ખાસ કરીને એપ્રિલથી ઓકટોબર મહિના દરમિયાન ટૂરિસ્ટ ટેકસ વધારે વસૂલ કરવામાં આવશે. એકોમોડેશન મોંઘુ કરવામાં આવશે જેનો ફાયદો સ્થાનિક લોકોને મળશે.