Tirupati,તા.૨૩
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. હાલમાં જ આંધ્ર પ્રદેશ સરકારે પણ ત્રણ મોટા નિર્ણયો લીધા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરને પરંપરાઓ અનુસાર શુદ્ધ કરવામાં આવશે. આ સાથે સમગ્ર મામલાની આઈજીપી કક્ષાએ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. હવે મંદિરની પ્રબંધન સમિતિમાં એવા લોકો જ રહેશે, જેમને ભગવાનમાં શ્રદ્ધા છે. આ સિવાય તમામ મંદિરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવામાં આવશે, જેનું પાલન તમામ મંદિરો માટે ફરજિયાત રહેશે.
ટીટીડી (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ) એ લાડુ પ્રસાદમ વિવાદને પગલે મહા શાંતિહોમનું આયોજન કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓ પૂજારીઓ સાથે હોમમાં હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ભારતમાં એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે, જેનું સંચાલન આંધ્ર પ્રદેશ સરકાર કરે છે. ટ્રસ્ટ મુખ્યત્વે સૌથી ધનાઢ્ય અને સૌથી વધુ મુલાકાત લેવાયેલ ધાર્મિક કેન્દ્ર, વેંકટેશ્વર મંદિર, તિરુમાલાની કામગીરી અને નાણાંકીય બાબતોની દેખરેખ રાખે છે. તેનું મુખ્ય મથક આંધ્ર પ્રદેશમાં તિરુમાલા, તિરુપતિ ખાતે છે.
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એવો આક્ષેપ કર્યો હતો કે અગાઉની રાજ્ય સરકાર દરમિયાન ટીટીડી બોર્ડમાં નિમણૂકો જુગાર જેવી બની ગઈ હતી અને બોર્ડમાં બિન-નિવાસીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમના નિવાસ સ્થાને પત્રકારો સાથે વાત કરતા નાયડુએ કહ્યું કે લાડુ બનાવવામાં કથિત રીતે પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ઘટસ્ફોટ બાદ લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. નાયડુએ કહ્યું, એસઆઇટીની રચના આઇજી (ઇન્સ્પેક્ટર જનરલ) સ્તર અથવા તેનાથી ઉપરના અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. તે તમામ કારણો, સત્તાના દુરુપયોગની તપાસ કરશે અને સરકારને રિપોર્ટ કરશે.